ગતાંકથી આગળ
આત્માના અજ્ઞાનથી જન્માદિ દુઃખ પ્રતીત થાય છે.
શિષ્ય ઉવાચ |
ચૌપાઈ
હે પ્રભુ! પરમાનન્દ બખાન્યો, મેરો રુપ સુ મૈં પહિચાન્યો |
નહિ તોમૈં ભવબંધન લેશા, કહ્યો આપ પુનિ યહ ઉપદેશા || ૪૩ ||
યામૈં શંકા મુહિ યહ આવે, જાતૈં તવ વચ હિય ન સુહાવે |
નહિ મોમૈં યહ બંધપસારો, કહો કૌન તૌ આશ્રય ન્યારો || ૪૪ ||
શિષ્ય કહે છે કે ભગવન્ આપે કહ્યું કે તું પરમાનંદસ્વરૂપ છે, તે મેં સારી રીતે જાણ્યું; પણ આપે કહ્યું કે, જન્મમરણ વગેરે સંસારદુઃખ તારામાં નથી. માટે તેની નિવૃત્તિ સંભવતી નથી તેમાં મને એક શંકા થાય છે, જેથી આપનાં વચન હ્રદયમાં ઊતરતાં નથી. મરામાં (એટલે આત્મામાં) જન્માદિક દુઃખ નથી, ત્યારે તે જેનામાં હોય એવો મારાથી જુદો આશ્રય કૃપા કરી બતાવો, કે જેથી સંસારદુઃખ જાણીને હું મારા પોતાનામાં માનું નહિ. (૪૩,૪૪)
શ્રી ગુરુરુવાચ |
સોરટા
સુનહુ શિષ્ય મમ બાનિ, જાતૈં તવ શંકા મિટૈ |
હૈ જગકી અતિ હાનિ, તો મોમૈં નહિ ઔર મૈં ||૪૫||
ગુરુ કહે છે કે હે શિષ્ય! મારી વાત સાંભળ કે જેથી તારી શંકા નાશ પામે. જન્માદિ દુઃખરૂપ સંસાર તારામાં, મારામાં કે કોઈનામાં પણ નથી (કેમ કે જગત થયું નથી ને છે પણ નહિ; તો તેનાથી થતું દુઃખ શી રીતે હોય? (૪૫)
તત્વદૃષ્ટિરુવાચ |
દોહા
હે ભગવન્ કહું કે નહીં જન્મમરણ જગખેદ |
વ્હૈ પ્રત્યક્ષ પ્રતીતિ ક્યોં? કહો આપ યહ ભેદ || ૪૬ ||
શિષ્ય પૂછે છે, હે ભગવન્! જ્યારે જન્મમરણ વગેરે સંસારદુઃખ મારામાં કે બીજા કોઈનામાં નથી, ત્યારે દુઃખની પ્રત્યક્ષ પ્રતીતિ કેમ થાય છે એ ભેદ સમજાવો. (૪૬)
શ્રીગુરુરુવાચ |
આત્મરુપ અજ્ઞાનતૈં, વ્હૈ મિથ્યા પરતીતિ |
જગત સ્વપ્ન નભનીલતા, રજ્જુભુજંગકી રીતિ || ૪૭ ||
ગુરુ કહે છેઃ જેમ સ્વપ્નના પદાર્થ, આકાશમાં નીલતા અને દોરડીમાં સાપ વસ્તુતઃ છે જ નહિ, તથાપિ મિથ્યારૂપે દેખાય છે ખરાં (અને તેથી સુખદુઃખ પણ ઊપજે છે); તેમ જ જન્મમરણ વગેરે જગત વસ્તુતઃ છે જ નહિ, તથાપિ આત્માના ખરા સ્વરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા પ્રતીત થાય છે અને મિથ્યા જગતથી ઊપજતાં સુખદુઃખ પણ મિથ્યા જ પ્રતીત થાય છે. (૪૭)
રજ્જુસર્પ – દૃષ્ટાંતમાં રહેલું રહસ્ય
તત્વદૃષ્ટિરુવાચ |
ચૌપાઈ
મિથ્યા સર્પ રજ્જુમૈં જૈસે, ભાસ્યો ભવ આતમમૈં તૈસે |
કૈસે સર્પ રજ્જુમૈં ભાસે, યહ સંશય મનબુદ્ધિ વિનાસે || ૪૮ ||
તત્વદૃષ્ટિ પૂછે છે કે જેમ દોરડીમાં સાપ મિથ્યા ભાસે છે, તેમ આત્મામાં સંસાર મિથ્યા ભાસે છે, એમ આપે કહ્યું. (હવે દૃષ્ટાંત સારી રીતે સમજાયા વિના સિદ્ધાંતનું જ્ઞાન થાય નહિ; માટે હું પૂછું છું કે) દોરડીમાં સાપ શી રીતે ભાસે છે, એ મને સમજાવો; કેમ કે એ સંશય મારા મનને તથા બુદ્ધિને ગૂંચવી નાખે છે. (૪૮)
અધ્યાસ વિષે ચાર મત અથવા ચાર ખ્યાતિઓ
અસતખ્યાતિ પુનિ આતમખ્યાતિ, ખ્યાતિ અન્યથા અરુ અખ્યાતિ |
સુને ચારિમત ભ્રમકિ ઠૌરા, માનૂં કૌન કહૌ યહ બ્યૌરા || ૪૯ ||
દોરડીમાં સાપ, છીપમાં રૂપું ઈત્યાદિ ભ્રમ જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં તે થવા વિષે ચાર પ્રકારના મત મેં સાંભળેલા છે; એટલે અસત્ ખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારમાંથી હું (ભ્રમના સંબધમાં) ક્યો મત શ્રેષ્ઠ માનું.
અખ્યાતિ-મતખંડન
શ્રીગુરુરુવાચ |
દોહા
ખ્યાતિ અનિર્વચનીય લખિ, પંચમ તિનતૈં ઔર |
યુક્તિહીન મત ચારિ યે, માનહુ ભ્રમકી ઠૌર ||૫૦ ||
ગુરુઃ- હે શિષ્ય! પાછળ જે ચાર ખ્યાતિઓ કહિ, તેનાથી પાંચમી એક અનિર્વચનીય ખ્યાતિ છે; તેને સઘળાં ભ્રમનાં ઠેકાણાંમાં સમજવી અને અસતખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારે મત યુક્તિહીન હોવાથી તજવા જેવા છે. (૫૦)
વધુ આવતા અંકે