Daily Archives: 09/11/2008

સંન્યાસીનું ગીત – સ્વામી વિવેકાનંદ

sv24


ન્યૂયોર્ક, થાઉઝંડ આયલેંડ પાર્કમાં જુલાઈ ૧૮૯૫માં રચેલું) (ગુજરાતી ભાવાનુવાદ)


જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
“ૐ તત સત ૐ”
(૧)

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
“ૐ તત સત ૐ”
(૨)

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
“ૐ તત સત ૐ”
(૩)

“લણે તે જે વાવે, અફર,” જન કહે: “કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.”
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
“ૐ તત સત ૐ”
(૪)

પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, – એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
“ૐ તત સત ૐ”
(૫)

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા – જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
“ૐ તત સત ૐ”
(૬)

કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
“ૐ તત સત ૐ”
(૭)

કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
“ૐ તત સત ૐ”
(૮)

ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
“ૐ તત સત ૐ”
(૯)

વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
“ૐ તત સત ૐ”
(૧૦)

ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
“ૐ તત સત ૐ”
(૧૧)

ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
“ૐ તત સત ૐ”
(૧૨)

અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું’, ‘હું’ માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
“ૐ તત સત ૐ”
(૧૩)

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 1 Comment

નાથ મૈં તા દિનસે પતિત પાયો – (38)

રાગઃ- ભૈરવી

નાથ મૈં તા દિનસે પતિત પાયો
જબ ગજકો બંધ છુડાયો –ટેક

જલ બીચમેં જબ ગજકો ગ્રાહ્યો
તબ ગરૂડ ચક્કર આયો
ઝુડકો કાપી કટકા કિયા
ગજકો બંધ છોડાયો –1

પાંડવ પત્ની પંચાળી પર
દુર્યોધન દુષ્ટતા લાયો
દુઃશાસન જબ ચિર હરાયો
તબ વસ્ત્રરૂપ ધરાયો –2

પ્રહલાદ પર હિરનાકંસ કોપ્યો
લોહકો થંભ ધગાયો
ભક્ત પ્રહલાદ કો પાલન કિયો
થંભમેં વાસ કરાયો –3

બાઇ મીરાંકી ભક્તિ દેખકર
રાણો રીસ ધરાયો
વિષકા પ્યાલા મીરાંકો ભેજ્યા
અમૃત ઓડકાર આયો –4

પતિત પાવન નામ સુનકર
મૈં શરણ તુમ આયો
ભજનપ્રકાશ પ્રભુ આશ તુમારી
ચરણ કમલ ચિત્ત લાયો –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (12)


ગતાંકથી આગળ…


સર્વને ઋતુ હોય છે માણસને પશુને પક્ષીઓને પૃથ્વીને. પૃથ્વીમાં પણ જ્યારે વસંત રુતું આવે કે વૃક્ષો ખીલવા માંડે પોતાની પ્રસન્નતા અને સૌદર્યમાં વધારો કરવા લાગે પક્ષીઓના પણ ગાયન કિલ્લોલ શરૂ થવા લાગે છે. ખરા પ્રેમમાં પોતાના પ્રેમીને સુખ આપવાની ઇચ્છા હોય છે સુખ લેવાની ઇચ્છા હોતી નથી. અને પ્રેમની રીત પણ એવી છે કે પ્રેમ આપી શકાતો ન હોય તો લઈ પણ શકાતો નથી. તે પણ તેની વાસ્તવિકતા છે જે પ્રેમ આપી શકે છે તે જ પ્રેમ પણ લઈ શકે છે. પ્રેમ લક્ષણા ભક્તિ તે ભગવાનની રસમયી ઉપાસના છે. ભગવાન પોતે પણ રસોવૈસઃ છે. રસ સ્વરૂપ છે. અને પરમાત્માની સાથેનો જેટલો નિકટનો સબંધ લાગે અને લાગતો જાય તેટલો પ્રેમ પણ ગાઢ થતો જાય છે. જ્ઞાની પુરુષો પોતાના અંતરાત્મા સાથે પ્રેમ કરીને તે પરમાત્માનો અનુભવ પોતાની અંદરમાં જ લઈ શકે છે. બીજાઓને કાંઈક આધાર લેવો પડે છે. કેટલાક મૂર્તિનો આધાર લે છે કેટલાક સમાજને ભગવાન કે પરમાત્માનું સ્વરૂપ માનીને આધાર લે છે. અને સમાજને ભગવાનની મૂર્તિ માને છે પરંતુ ભક્તિમાં કે પ્રેમમાં જેનો આધાર લીધો છે તે આધાર સાથે આપણો સબંધ કેવા પ્રકારનો છે તે પહેલા નક્કી કરવું પડે છે. માનો કે રાજા અને નોકરનો સબંધ છે સ્વામી સેવકનો સબંધ છે ત્યાં માનો કે રાજા ખુબ જ દયાળુ છે કૃપાળું છે પ્રેમાળ છે. ઉદાર છે. આવા ગુણ વિશિષ્ટ હોવા છતાં તેનું જે ઐશ્વર્ય જોઈને તેની સેવા કરવાની કે ગુણનો લાભ લેવાની કે પાસે જઈને સ્પર્શ કરવાની પણ હિંમત ચાલતી ન હોય

એવી જ રીતે ઇશ્વર પણ અનંત ઐશ્વર્યવાળા તથા અનંતગુણોવાળા. જ્યારે વિચાર આવે ત્યારે જરૂર ત્યાં આપણને અલ્પજ્ઞપણાની કે અલ્પશક્તિપણાનો અનુભવ થવા લાગે છે અને તેથી જ ભક્તો પોતાને શક્તિહીન માને છે. આમાં શ્રદ્ધા રહે છે પણ સબંધ પ્રાપ્ત થતો નથી. સબંધ તેને કહેવાય બે વસ્તુનું તાદાત્મ્ય એકતા અભિન્નતા માણસ જીવભાવે પોતે ભગવાનનો અંશ છે ભગવાન અંશી છે તેમ માનવાથી દાસભાવ ભક્તોને સુલભ પડે છે. તેથી ઘણા પોતાના નામની પાછળ દાસ શબ્દ પણ લગાડે છે. કોઈ તો દાસાનુદાસ ભાવ પણ રાખે છે. દાસભાવમાં ખાસ તે ખ્યાલ રહે છે જ્ઞાન રહે છે કે ભગવાન મારા સ્વામી છે. હું તેનો દાસ છું તેમાં દાસને દર્શન દેવા કે નહીં તે સ્વામીમાં સ્વતંત્રતા રહે છે તેથી દાસ કહે છે જે સ્વામીની ઇચ્છા તે મારી ઇચ્છા. તેથી આ ભાવથી પણ ઘણા ભક્તોને મૂર્તિમાં ભગવાનના દર્શન થતા નથી. કાંઈક સંભ્રમ ભય સંકોચ રહે છે. અને તેનાથી પણ ઉતમ સખાભાવ છે મિત્રભાવ છે તેમાં ભગવાનનું ઐશ્વર્ય છુપાઈ જાય છે. રાજાનો કે સ્વામીનો પ્રભાવ તેના સેવક ઉપર નોકર ઉપર કે દાસ ઉપર પડે છે. તેથી દાસ ભાવમાં સંભ્રમ ભય તથા સંકોચ રહે છે પણ જે રાજાના મિત્રો હોય છે તેના ઉપર પડતો નથી. કૃષ્ણનો પ્રભાવ અર્જુન ઉપર પડતો ન હતો. તેથી ભગવાન શ્રીકૃષ્ણને જેમ તેમ તે રીતે બોલાવતો હતો અને તે પ્રભાવ તો મહાભારતના યુદ્ધ વખતે પડયો જે સમૃદ્ધિવાળા અંનત ઐશ્વર્યવાળા ભગવાન જ્યારે મિત્રના સારથી બનીને એક નોકરની માફક આજ્ઞાંકિત બનીને કામ કરતા હોય રથ ચલાવતા હોય ત્યારે શું પ્રભાવ? પરંતુ જ્યારે ગીતાજ્ઞાન આપે અને વિશ્વરૂપના દર્શન કરાવે ત્યારે અર્જુનને ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે તેમ રાજાનો પણ પોતાના મિત્રો પાસે પ્રભાવ પડતો નથી. મિત્ર ભાવમાં સમાનતાછે. તેથી ઘણા ઘણા પોત પોતાના સમોવડી સાથે મૈત્રી ભાવ રાખે છે. છતાં મિત્રોમાં પરસ્પરમાં પ્રેમની અપેક્ષા રહે છે. તેમાં વારંવાર હ્રદય પલટા થવાનો પણ સંભવ રહે છે. અને થતા રહે છે ત્યારે પરસ્પરનો પ્રેમ પણ ભયમાં મૂકાઈ જાય છે એક થોડો ઉદાસ દેખાય કે બીજો પણ તુરત ઉદાસીન બની જાય છે. અને કોઈ એવા કારણો ઊભા થાય કે થવાનો સંભવ છે કે પરસ્પર પરસ્પરને પ્રેમ આપતા બંધ થઈ જાય અને મૈત્રી ભાવ પણ તુટી જાય તેથી તેવા મિત્રોને પણ સતત હ્રદય પલટા તરફ લક્ષ રહે છે. પ્રેમ ભયમાં હોય છે એવી રીતે કયારેક ભગવાન પાસેથી પણ ભક્તને જવાબ ન મળે તો ભક્ત પણ ગભરાય જાય છે કયારેક એકાંતે રડવા લાગે છે. ભગવાન પાસે રડી લે છે. અને ભગવાન તૈયાર હોય ત્યારે ભક્ત તૈયાર હોતો નથી તો ત્યારે ભગવાનને સંકોચ રહે છે. કે હું તો મળવા તૈયાર છું પણ તે જ મને મળવા તૈયાર નથી તો ભગવાન પણ સંકોચ અનુભવીને ભક્તની તૈયારીની પ્રતિક્ષા કરે છે.

સ્ત્રી પુરુષમાં પણ તેમ જ હોય છે. એક પ્રેમ આપવા તૈયાર ન હોય તો બીજું પણ રોકાય જાય છે માટે બંનેમાં એક વખતે પ્રેમ હોવો જોઈએ. અને તેમ ન હોય તો ખરો પ્રેમ મળતો નથી. મિત્ર પ્રેમમાં પણ ન્યુનતા રહી જાય છે. અને મિત્ર ભાવે મૂર્તિ દર્શન આપે અને ન પણ આપે. મિત્ર પ્રેમથી અધિક વાત્સલ્ય પ્રેમ છે. જે માતાપિતાનો છે. માબાપ અને પુત્ર વિશે વિશેષ પ્રેમ રહે છે તેમાં નિરપેક્ષભાવ જરૂર રહે છે. માતા પિતા પુત્ર પાસેથી પ્રેમની અપેક્ષા રાખ્યા વગર પુત્ર ઉપર પ્રેમ કરતા હોય છે. પુત્રના સુખને માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. મા બાપને સતત તેનું જ ચિંતન રહે છે કે મારો પુત્ર કેમ અધિક સુખી થાય અને તેને સુખી કરવામાં જ તેનું ચિત્ત પ્રસન્ન રહે છે. જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે આવો સબંધ થાય અને જેમ રામકૃષ્ણ પરમહંસ મૂર્તિની મા માની અને મા તરીકે સેવા કરતા હતા અને ત્યાં જેમ દીકરો ઘણી ભૂલો કરે અપરાધ કરે પરંતુ તે દીકરાના અપરાધ કે ભૂલો સામે માતા પિતા જોતા નથી અને તે ભૂલો ને ભૂલી જાય છે. અને સેવા કરતા કરતા પણ ભૂલ થાય તો પણ ભગવાનને તે રૂપે દર્શન આપવાની ફરજ પડી જાય છે. રામકૃષ્ણ પરમહંસની આ માતાજીની ભક્તિ વિશે સર્વ કોઈ જ્ઞાત છે કે તે માતાજી સાથે વાતો પણ કરી શકતા હતા. જ્યાં વાસ્તલ્ય પ્રેમ છે ત્યાં ભગવાન પણ પરતંત્ર થઈ જાય છે. ભકતના દોષ જોતા નથી. તેમાં સેવા પ્રમાણે ફલ નથી પણ ભાવ પ્રમાણે ફલ છે.

પોતાના સંતાનો પાસે પુત્ર હોય કે પુત્રી હોય પરંતુ માતા પિતા પોતાનું સુખ સંતાનો પાસે પહેલા માગતા નથી છતાં વાત્સલ્ય પ્રેમમાં પણ કાંઈક ન્યુનતા રહી જાય છે અને ઉંમરમાં પણ તફાવત રહે છે અને કર્તવ્ય અકર્તવ્યનો પણ વિચાર રહે છે. અને સાથે મર્યાદાનો પણ સંકોચ રહે છે. જ્યાં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કે મર્યાદાનો વિચાર રહે છે ત્યાં સુધી વિશુદ્ધ પ્રેમ ઉત્પન્ન થતો નથી. કાંઈક અંશે સ્વાર્થની પણ માત્રા રહે છે. વિશુદ્ધ પ્રેમમાં તો પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તે જ કાર્ય રહે છે. જેના ઉપર આપણને પ્રેમ છે તે પ્રસન્ન કેમ રહે. બસ તેવા જ કાર્ય કરવા અને તેને અનુકૂળ રહીને કાર્ય કર્યા કરવું એ જ વિશુદ્ધ પ્રેમમાં કાર્ય રહે છે. અને એ જ પરમ ધર્મ પણ છે. શરીર ભગવાનનું કામ કરે વાણી તેના ગુણોનું વર્ણન કરે મન તેનું સતત સ્મરણ કરે અને બદલામાં પોતે પોતાના સુખ માટે કાંઈ પણ ન માગે કે પોતે સુખની અપેક્ષા ન કરે તેને વિશુદ્ધ અથવા મધુર પ્રેમ કહે છે. મધુરભાવમાં ભક્ત માત્ર મારો પ્રભુ મારો ભગવાન કેમ મારાથી પ્રસન્ન રહે સુખી રહે ગોપીઓનું જ્વલંત ઉદાહરણ મળે છે. મધુરભાવ કે અને ભગવાન શ્રી કૃષ્ણને પણ ગોપીઓ ને કહેવું પડયું કે હે ગોપીઓ તમે તમારા તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને કે બદલામાં કાંઈ પણ ન માંગીને મને કાયમને માટે ઋણી બનાવ્યો છે. હું કોઈ પ્રકારે આપના પ્રેમનો બદલો આપી શકું તેમ નથી. પછી આખો દિવસ તે ભક્ત મૂર્તિમાં પણ તે પ્રેમ ભાવથી સુખની જ ભાવના કે ચિંતન કરતો હોય છે. પછી ભક્ત એ જેનો આશ્રય કે આધાર લીધો હોય તે પછી તેની જ તેને ચિંતા રહે છે પછી તે ગુરુ હોય કે ગોવિંદ હોય કે પોતાનો અંતરાત્મા હોય. જ્યાં ભગવાન જોવાની ટેવ પડી છે ત્યાં પછી આધાર ઉપર આધાર નથી પણ ભાવ પર આધાર છે. પછી વસુદૈવ કટુંબકમની ભાવના રાખવાવાળા પણ બધાને સુખ આપવાની વૃતિવાળા હોય છે. સર્વ પ્રત્યે સમભાવ રાખે છે. પણ પોતાના સુખની ઇચ્છા જરાપણ કરતા નથી.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


દોહા

કરહુ રાજ ઈમ ભિન્ન તિહું, પાલહુ નિજ નિજ દેશ |
બિન વિભાગ ભ્રાતાન કો, ભૂમિ કાજ વ્હૈ ક્લેશ || ૧૧ ||

તમે ત્રણ તે પ્રમાણે જુદા જુદા દેશમાં રાજ્ય કરજો અને પોતપોતાના દેશનું રક્ષણ કરજો. પૃથ્વી માટે ભાઈઓમાં ટંટો ન થાય, માટે આ રીતે મેં વહેંચણી કરી આપી છે. (૧૧)

સવૈયા

રાજસમાજ તર્જૌ સબ મૈં અબ, જાન હિયે દુઃખ તાહિ અસારા |
ઔર તુ લોક દુઃખી અપને દુઃખ, મૈં ભુગત્યો જગક્લેશ અપારા ||
જે ભગવાન પ્રધાન અજાન, સમાન દરિદ્રન તે જન સારા |
હેતુ વિચાર હિયે જગકે ભગ, ત્યાગિ લખું નિજરુપ સુખારા || ૧૨ ||

હવે રાજકાજ વગેરેમાં જે અનેક દુઃખ રહ્યાં છે, તે જાણીને તથા તેને અસાર સમજીને હું તેને છોડી દેવા ઈચ્છું છું; કેમ કે બીજા લોકો તો માત્ર પોતપોતાનાં દુઃખથી દુઃખી હોય છે, પણ હું તો મારા પોતાના તથા આખા જગતના દુઃખે દુઃખી થઈ રહ્યો છું. જે મનુષ્ય મોટા ઐશ્વર્યવાન છતાં પણ અજ્ઞાની હોય તે માણસો દરિદ્રી માણસોના જેવા જ જાણવા. આવો વિચાર કરીને જગતનું ઐશ્વર્ય છોડીને હવે સુખરૂપ આત્માનો જ અનુભવ કરવા હું ઈચ્છું છું. (૧૨)

ત્રણે રાજપુત્રોનો વિચાર

વાક્ય અનંત કહૈ ઈમ તાત, સુને તિહું ભ્રાત સુબુદ્ધિ નિધાના |
બૈઠી ઈકંત વિચાર અપાર, ભનૈ પુનિ આપસમાંહિ સુજાના ||
દે દુઃખમૂલ સમાજ હમૈ યહ, આપ ભયો ચહ બ્રહ્મ સમાના |
સો જન નાગર બુદ્ધિકસાગર, અગર દુઃખ તજૈ જુ જહાના || ૧૩ ||

આવી રીતે પિતાશ્રીએ અનંત વાતો કહી, તે ત્રણે પુત્રોએ સાંભળી અને તેઓ મોટા બુદ્ધિમાન હતા, તેથી તે ત્રણે જણ એકાંતમાં વિચાર કરવા ગયા; અને વિચાર કરીને એકબીજાને કહેવા લાગ્યા કે, પિતાશ્રી આ દુઃખના મૂળરૂપ સંસાર આપણને આપીને પોતે બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે; માટે જે માણસ આ દુઃખની ખાણરૂપ સંસાર છોડી દે, તે જ માણસ ચતુર અને બુદ્ધિનિધાન સમજવો. (૧૩)

ત્રણે રાજપુત્રોનો ગૃહત્યાગ તથા ગુરુ-સમાગમ

દોહા

યાતૈં તજિ દુઃખ મૂલ યહ રાજ, કરૌ નિજકાજ |
કરિ વિચાર ઈમ ગેહેતૈં, નિકસ્યો ભ્રાતસમાજ || ૧૪ ||
તિહું ખોજત સદગુર ચલે, ધારી મોક્ષ હિય કામ |
અર્થ સહિત કિય તાતકો, શુભસંતતિ યહ નામ || ૧૫ ||

માટે આ દુઃખના મૂળરૂપ રાજ્યને છોડી, આપણે આપણું કામ કરવું, એ જ ઉત્તમ છે, એવો વિચાર કરી ત્રણે ભાઈઓ ઘરેથી ચાલી નીકળ્યા અને મનમાં મોક્ષ મેળવવાની ઈચ્છાથી કોઈ સદગુરુની શોધ કરતા કરતા પ્રવાસ કરવા લાગ્યા. તેઓ આવા સુપુત્ર હોવાથી તેમણે પોતાના પિતાના શુભસંતતિ (સારી સંતતિવાળા) એ નામને સાર્થક કર્યું. (૧૪, ૧૫)

ખોજત ખોજત દેશ બહુ, સુર સરિ તીર ઈકંત |
તરુપલ્લવ શાખા સઘન, બન તામૈ ઈક સંત || ૧૬ ||
બૈઠ્યો બટબિટપહિં તરૈ, ભદ્રામુદ્રા ધારિ |
જીવ બ્રહ્મકી એકતા, ઉપદેશત ગુન ટારી || ૧૭ ||

ઘણાં દેશ શોધતાં શોધતાં એક વખતે ગંગા નદીના કાંઠા ઉપર એકાંતમાં એક વન હતું, ત્યાં તેઓ આવી પહોંચ્યા. તે વનમાં ઘણાં વૃક્ષો હોવાથી તે વન શોભી રહ્યું હતું; વૃક્ષોને અનેક ડાળાં-ડાળીઓ હોવાથી વૃક્ષો શોભી રહ્યાં હતાં. એવા સઘન વનમાં એક વડના ઝાડ નીચે એક સંત ભદ્રામુદ્રા કરીને બેઠા હતા તથા પાસે બેઠેલા શિષ્યોને જીવ-બ્રહ્મની એકતાનો ઉપદેશ કરી રહ્યા હતા અને ત્રિગુણાત્મક માયાનું મિથ્યાત્વ સમજાવી રહ્યાં હતા. (૧૬, ૧૭)

શિષ્યના દસ દોષ

દોષ રહિત એકાગ્રચિત્ત, શિષ્યસંઘપરિવાર |
લખિ દૈશિક ઉપદેશ હિય, ચહુધા કરત વિચાર || ૧૮ ||
મનહુ શંભુ કૈલાસમૈં, ઉપદેશત સનકાદિ |
પેખિ તાહિ તિહિં લહિ શરન, કરી દંડવત્ આદિ || ૧૯ ||
કિયો માસ ષટમાસ પુનિ, શિષ્યરીતિ અનુસાર |
કરી અધિક ગુરુસેવ તિહું, મોક્ષ કામ હિય ધાર || ૨૦ ||
વ્હૈ પ્રસન્ન શ્રી ગુરુ તબૈ, તે પુછે મૃદુ બાનિ |
કિહિં કારણ તુમ તાત તિહું, બસહુ કૌન કહ આનિ || ૨૧ ||
તત્વદૃષ્ટિ તબ લખિ હિયે, નિજ અનુજનકી સૈન |
કહૈ ઉભય કર જોરી નિજ, અભિપ્રાય કે બૈન || ૨૨ ||

તેમની પાસે બેઠેલા શિષ્યો બધા દોષરહિત હતા; એટલે કે નૃસિંહતાપિની ઉપનિષદમાં જે દસ દોષ કહ્યા છે, તે દોષો તેમનામાં નહોતા.

તે દોષો આ પ્રમાણે છેઃ
(૧) ચોરી, જારી, હિંસા – આ ત્રણ શરીરના દોષ છે.
(૨) નિંદા, જૂઠ, કઠોર ભાષણ અને વાચાળતા – આ ચાર વાણીના દોષ છે.
(૩) તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિની મંદતા – એ ત્રણ મનના દોષ છે.

આવા દોષરહિત અને એકાગ્ર ચિત્તવાળા શિષ્યોના સમૂહ તથા ગુરુનો ઉત્તમ ઉપદેશ જોઈને ત્રણે રાજપુત્રોને એમ લાગ્યું કે, કૈલાસમાં વડના ઝાડ નીચે દક્ષિણામૂર્તિ મહાદેવજી બેઠા છે અને સનકાદિક શિષ્યોને ઉપદેશ કરી રહ્યા છે.

આ સઘળું જોઈને તે રાજપુત્રો એ જ ગુરુને શરણે ગયા તથા તેમને દંડવત્ પ્રણામ આદિ કરીને ત્યાં જ છ માસ પર્યંત શિષ્યની રીતિ પ્રમાણે રહ્યા. તેમણે મોક્ષ મેળવવાની ઈચ્છા મનમાં રાખીને ગુરુની ઘણી ઘણી સેવા કરી. એક વખત શ્રી ગુરુ પ્રસન્ન થઈને તેમને પૂછવા લાગ્યાઃ હે પુત્રો! તમે અહીં કેમ આવી રહ્યા છો? તમે કોણ છો? અને તમે કોના પુત્ર છો? (૧૮ – ૨૨)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

Blog at WordPress.com.