Daily Archives: 07/11/2008

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

વાગે છે રે વાગે છે – મીરાંબાઈ

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો રાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલા! મુખ પર મોરલી શોભે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

પ્રભો અંતર્યામી – કવિ નાન્હાલાલ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
(૧)

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું;
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
(૨)

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે;
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
(૩)

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો;
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
(૪)

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
(૫)

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
(૬)

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
(૭)

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.
(૮)


માણો ટહુકો પર


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

સફળતા – સ્વામી વિવેકાનંદ

sv41


સફળતા વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો અત્રે રજુ કરેલ છે.


૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.

૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.

૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.

૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !

૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.

૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.

૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.

૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.

૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.

૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.

૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.

૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.

૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 2 Comments

વખત વિત્યાની પહેલા શું? – (10)


ગતાંકથી આગળ…


કોઈ મહાપુરુષ કહે છે તેવી કઠોર સાધના કરવાની જરૂર નથી. ભક્તિનો માર્ગ સરળ છે. ભક્તિ કરો. સગુણ ભગવાનનું કિર્તન કરો. સ્મરણ કરો. અર્ચન વંદન ઇત્યાદિ નવધા ભક્તિ કરો. ભક્તિથી જ મુક્તિ છે. ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે અને પરમ કૃપાળુ ભગવાન પોતાની માયાના બંધનમાંથી જીવને મુક્ત કરે છે. અને કોઈ જ્ઞાન સમજાવે છે કહે છે પરમાત્મ તત્વ પ્રસિદ્ધ વસ્તુ છે તેમાં કશું કરવાની જરૂર નથી. જે પ્રાપ્ત છે તેને જાણો અનુભવ કરો તેમ જ્ઞાનીઓ કહે છે. પરંતુ દરેક પોત પોતાના સંપ્રદાયની પ્રસંશા કરતા હોય છે અને કહેતા હોય છે કે મારું સારુ છે. મારું સારું છે. તે એમ બતાવે છે કે અન્યનું સારું નથી. પરંતુ વાસ્તવિકતા તો તે છે કે સંપ્રદાય જીવંત રહેવો જોઈએ અને જે સંપ્રદાય જીવંત રહે છે પરંતુ જ્યાં આત્મજ્ઞાની પુરુષો પાકતા નથી તે સંપ્રદાય તે આત્મજ્ઞાની પછી તુટીને મરી પરવારી જાય છે. મતલબ મૃતક જેવો રહે છે. અથવા તો સમાપ્ત થઈ જાય છે. તેથી ઉત્તરોત્તર કોઈ પણ આત્મજ્ઞાની મહાપુરુષ થતા રહેવા જોઈએ. તેવી એક જ્ઞાન પરંપરા ચાલવી જોઈએ. અને આત્મજ્ઞાનનું આવું સાધન જ્યાં મળે નહીં તો બીજા પાસેથી લેવામાં કે આત્મજ્ઞાન જાણવામાં કાંઈ પણ વાંધો નથી. કોઈ સંપ્રદાયવાલા માને છે કે માણસ પોતાના સ્વભાવથી હલકો બની ગયો છે. તેથી તેને સ્વભાવ સુધારવાની જરૂર છે. તેને માટે ક્રિયા યોગ તથા કર્મના સાધનો બતાવે છે ક્રિયાને પ્રાધાન્ય આપે છે. અને તે પ્રમાણે સ્વભાવને સુધારવાની રીતે કે પદ્ધતિ બતાવે છે.

અને કેટલાક માને છે કે માણસ સ્વભાવથી પૂર્ણ છે. તેને જ્ઞાનની જરૂર છે જે આત્માનો પૂર્ણ સ્વભાવ સ્વરૂપ છે તે સમજવાની જરૂર છે. માણસ પૂર્ણ છે પ્રભુ છે. અજ્ઞાનથી તે સંસારમાં પડે છે. જ્ઞાનીઓ આવું જ્ઞાન બતાવે છે. બંનેમાં પદ્ધતિ અને રીત તે જરૂર છે જેવી પોતાની પ્રકૃતિ તે પ્રમાણે પોતાનો માર્ગ કે પદ્ધતિ પસંદ કરી લે છે. જેવી પ્રકૃતિનો જિજ્ઞાસુ હોય તેવી પદ્ધતિ તેને કામ લાગે છે. આત્મજ્ઞાની અનુભવી મહાપુરુષો એ પરમાત્માના કહીએ કે આત્માના કહીએ લક્ષણ બે પ્રકારના માન્યા છે. એક તો આત્મા નિર્વિકલ્પ નિર્વિશેષ નિરંજન શુદ્ધ બુદ્ધિ મુક્ત અસંગ ઇત્યાદિ માનેલ છે કે જેને વેદ પણ નૈતિ નૈતિ કહે છે. બીજું તે કે તેનાથી કશુ પણ જુદુ કે ભિન્ન નથી. પહેલા ભાવને વ્યતિરેકી ભાવ કહે છે. ભગવાન પત્થરની મૂર્તિમાં નથી તેમ અનુભવવું તેને વ્યતિરેકી ભાવ કહે છે અને ભગવાન પત્થરની મૂર્તિમાં પણ છે તેવા ભાવને અન્વયભાવ કહે છે. કશું પણ તેનાથી ભિન્ન કે જુદુ ન અનુભવવું કે કયાંય પણ તેનો અભાવ ન અનુભવવો તે અન્વયભાવ કહેવાય છે. જ્ઞાનીઓ કહે છે ન ઇતિ ન ઇતિ. ભક્તો કહે છે ઇતિ ઇતિ. વેદાંતમાં વ્યતિરેકી ભાવને જ નૈતિ નૈતિ કહે છે. શંકરાચાર્ય મહારાજ જેવા તેને અનિર્વચનિય માયા કહે છે. કારણ કે પરમાત્માને વાણીથી કે દલીલથી સિદ્ધ કરી શકાય તેમ નથી. તે શ્રદ્ધાનો વિષય છે. તર્કનો વિષય નથી. એટલા માટે જ ભક્તો પણ પરમાત્મા આનંદ સ્વરૂપ છે આનંદ સ્વભાવવાળા છે તેથી તેની અભિવ્યક્તિ જગત પણ આનંદ રૂપ સારું એ આત્મજ્ઞાની જગત આનંદ રૂપ છે. અવિદ્યાને લઈને જુદુ જુદુ દેખાય છે. અન્વય ભાવ પેદા થાય તો બધુ પરમાત્મ સ્વરૂપ દેખાવા લાગે પરમાત્મા અને સંસાર ભિન્ન નથી. અભિન્ન દેખાવા લાગે. અન્વયભાવે પત્થરને પત્થર ન કહેવાય. તે પણ ભગવાનનું સગુણ સાકારરૂપ છે.

જ્ઞાનીઓ કહે છે નામરૂપ મિથ્યા છે. તે માયાંશ છે જડ છે. અસ્તિ ભાતિ પ્રિય રૂપ સત્યાંશ છે. તેથી બંને ભાવ સાચા છે, છે અને નથી. કારણ કે દલીલ કે તર્કથી તેને સિદ્ધ કરી શકાય તેમ નથી કારણ કે આપણે જ્યારે વાતચીતથી કાંઈ પણ અધ્યાત્મ ચર્ચા કરીએ ત્યારે તો તે વખતે જગતને જુદુ કરીને સમજાવવું પડે છે અને કહેવું પડે છે કે જગતમાં ભગવાન નથી. કારણ કે જગત એક ભાગનું નામ છે. સ્થુલ જગત તે આખું જગત નથી તેની અંદર એક સૂક્ષ્મ અને તેથી પણ વ્યાપક એક જગત છે. તેથી પહેલા જગતની ચર્ચા કરતા કહેવું પડે કે જગતમાં ભગવાન નથી પરંતુ જ્યારે ભગવાનથી જ શરૂ કરીએ અને જ્યારે જગતનો કોઈ પણ એક અંશ માત્ર છોડીએ નહીં ત્યારે બધુ ભગવાન જગત છે તેમ કહેવું પડે. તે વખતે જગતને જગત કહી શકાય નહીં. કારણ કે પરમાત્મા કે જગતના કોઈ પણ પ્રશ્ન વખતે ઉતર આપવામા મુખ્ય દેશ કાલનો પણ આધાર રહે છે. આપણે શરૂઆત કયાંથી કરીએ છીએ પહેલુ પ્રારંભનું ક્યુ તત્વ લઈએ છીએ. જગત કે પરમાત્મા તેના પર પ્રત્યુત્તરનો પણ આધાર રહે છે. સઘળા જીવો સંસારમાં સંસારના ભૌતિક પદાર્થોમાં આસક્તિથી બંધાયેલા છે તેથી જગત મિથ્યા છે ખોટું છે નાશવંત છે તેમ કહીને શાશ્વત સુખ આપી શકે તેમ નથી. કહીને અનાસક્તિ યોગ બતાવવો પડે અને બતાવવાની જરૂર પણ છે.

અને આત્મજ્ઞાની સર્વ પહેલા વ્યતિરેકી ભાવનો અનુભવ પણ મળવો જોઈએ. જેના જીવનમાં સારો એવો વૈરાગ્ય છે ત્યાગભાવ છે તેવા સાધુ પુરુષોને અન્વયભાવ બહુ જ ઉપયોગી થઈ પડે છે. અને સહેલાઈથી સંસારમાં ભગવાનનું દર્શન કરી શકે છે કારણ કે થોડી પણ જો સંસારમાં આસક્તિ હશે તો તે સંસારમાં ભગવાનનું દર્શન કરી શકશે નહીં. તેથી જે સંસારથી અનાસક્ત છે અને જેને જીવનમાં અસંગત્વ પ્રાપ્ત થયું છે તે જ સર્વાત્મત્વરૂપે સર્વમાં ભગવાનનું દર્શન કરી શકશે. તેથી સંપૂર્ણપણે વૈરાગ્ય હોવો જરૂરી છે. અસંગત્વ હોવું જરૂરી છે. અનાસક્ત યોગ કેળવવો પડે અને આત્મજ્ઞાની વાત જ્યાં સુધી પૂર્ણ પણે બુદ્ધિમાં ઉતરતી નથી એટલે જ પરસ્પર પોતાના ઇષ્ટ વિશે પણ ઝઘડા કરતા હોય છે. મારું સાચું અને તારું ખોટું. તેવા વિવાદમાં પડતા હોય છે. ભક્તો મૂર્તિને પણ મૃત માનતા નથી. સજીવ માને છે. પછી પાંચ ભૂત હોય કે કોઈ પણ પાંચ ભુતથી બનેલ ભૌતિક કોઈ પણ પદાર્થ હોય કે આપણું શરીર હોય પણ સઘળું પરમાત્મ સ્વરૂપ છે. પરમાત્મનું છે તેથી તેની સેવામાં કામ આવવું જોઈએ. તેવી ભાવનાથી મૂર્તિની પુજા પણ કરવામાં આવે છે. આપણે મંદિરમાં આરતી ઉતારીએ છીએ. શંખ ઝાલર ઘંટાનાદ કરીએ છીએ પછી ભગવાનને પંખો નાખીએ છીએ વાયુ ઢોળીએ છીએ જેને ચામર કહીએ છીએ પછી દીપક કીર તેજ પ્રગટ કરીએ છીએ પછી જલનો ચારેબાજુ છંટકાવ કરીએ છીએ. પછી આપણે પુષ્પ ધુપ ઇત્યાદિ કરીને આપણે ભગવાનને બોલાવીએ છીએ. તે તે રૂપે આહ્વાન કરીએ છીએ. નિમંત્રણ આપીએ છીએ તેમાં પંચ ભૂતો સ્વરૂપે પણ તેને જ આહ્વાન કરાય છે. અને જે જે ભાવે ભગવાનને બોલાવાય છે તે તે સ્વરૂપે ભગવાન તેને તેનો ભાવ જોઈને દર્શન પણ આપતા હોય છે. સઘળામાં ભાવની કિંમત છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


આચાર્ય-સેવાની આવશ્યકતા

બાની જાકી વેદ સમ, કીજૈ તાકી સેવ |
વ્હૈ પ્રસન્ન જબ સેવતૈં, તબ જાનૈ નિજ ભેદ || ૧૧ ||

બ્રહ્મવેતા આચાર્યની વાણી વેદ સમાન છે, માટે તેની જિજ્ઞાસુએ સેવા કરવી; કેમ કે જ્યારે સેવાથી આચાર્ય પ્રસન્ન થાય છે, ત્યારે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન શિષ્ય ગુરુ પાસેથી મેળવી શકે છે. (૧૧)

આચાર્ય-સેવાનો પ્રકાર

સોરટા

વ્હૈ જબહી ગુરુ સંગ, કરૈ દંડ જિમ દંડવત |
ધારૈ ઉત્તમ અંગ, પાવન પાદસરોજરજ || ૧૨ ||

જ્યારે ગુરુની મુલાકાત થાય, ત્યારે તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને તેમના ચરણની પવિત્ર રજ માથે ચડાવવી. (બે પગ, બે ઘૂંટણ, બે હાથ, છાતી અને માથું = એ આઠ અંગ પૃથ્વીને અડકાડી, લાકડીની પેઠે લાંબા પડી નમસ્કાર કરવો, તેને ‘સાષ્ટાંગ દંડવત્ પ્રણામ’ કહે છે.) (૧૨)

ચૌપાઈ

ગુરુ સમીપ પુનિ કરિયે વાસા, જો અતિ ઉત્કટ વ્હૈ જિજ્ઞાસા |
તન મન ધન વચ અર્પી દેવૈ, જો ચાહૈ હિય બંધન છેવૈ || ૧૩ ||

જો શિષ્યની જિજ્ઞાસા (જ્ઞાન મેળવવાની ઈચ્છા) અતિશય ઉત્કટ હોય, તો તેણે ગુરુની પાસે જ નિવાસ કરવો; અને જો હ્રદયમાં રહેલો સંસારરૂપી બંધ કાપી નાખવો હોય, તો શરીર, મન, ધન અને વાણી ગુરુને અર્પણ કરવાં. (૧૩)

શરીર તથા મન – અર્પણના પ્રકાર

તન કરિ બહુ સેવા વિસ્તારૈ,આજ્ઞા ગુરુકી કબહુ ન ટારૈ |
મનમૈં પ્રેમ રામસમ રાખૈ, વ્હૈ પ્રસન્ન ગુરુ ઈમ અભિલાખૈ || ૧૪ ||
દોષદૃષ્ટિ સ્વપનૈ નહિ આનૈ, હરિ હર બ્રહ્મ ગંગ રવિ જાનૈ |
ગુરુમૂરતિકો હિયમૈં ધ્યાના, ધારૈ ચાહૈ જો કલ્યાના || ૧૫ ||

શરીર વડે ગુરુની ઘણી સેવા કરવી અને તેમની આજ્ઞાનો કદી લોપ ન કરવો, એ શરીર અર્પણ કર્યું કહેવાય. પોતાના મનમાં ગુરુ ઉપર પરમેશ્વર જેવી પ્રીતિ રાખવી અને ગુરુ શી રીતે પ્રસન્ન થાય એ જ ઈચ્છામાત્ર મનમાં રાખવી; વળી ગુરુના દોષ કદાપિ જોવા નહિ અથવા તેમના આચરણમાં દોષદૃષ્ટિ કરવી નહિ; પણ ગુરુને વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ગંગાજી કે સૂર્યદેવ જેવા જાણવા. જે શિષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે ગુરુની મૂર્તિનું હ્રદયમાં ધ્યાન કરવું. (૧૪,૧૫)

ધન – અર્પણ પ્રકાર

ચૌપાઈ

પત્ની પુત્ર ભૂમિ પશુ દાસી, દાસ દ્રવ્ય ગ્રહ વ્રીહિ વિનાસી |
ધનપદ ઈન સબહિનકું ભાખૈ, વ્હૈ ગુરુ સરન દૂરિ તિહિ નાખૈ || ૧૬ ||

સોરટા

ધન અર્પનકો ભેવ, એક કહ્યો સુન દૂસરો |
વ્હૈ ગૃહસ્થ ગુરુદેવ, યાજ્ઞવલ્ક્ય સમ દેહ તિહિં || ૧૭ ||

સ્ત્રી, પુત્ર, પૃથ્વી, પશુ, દાસ, દાસી, દ્રવ્ય, ઘર, અનાજ – એ સઘળી નાશવંત વસ્તુઓને ધન કહે છે. તે સર્વનો ત્યાગ કરીને ગુરુને શરણે જવું, તેને ધન – અર્પણ કહે છે; કેમ કે ગુરુ તો ત્યાગી હોવાથી, તે સઘળાનો ગુરુ પોતે તો અંગીકાર કરે નહિ; પણ એવા ત્યાગી ગુરુની પ્રાપ્તિ માટે ધનનો ત્યાગ કર્યો હોય, તો તે પણ ગુરુને અર્પણ કર્યું કહેવાય. ધન-અર્પણનો એક એ પ્રકાર કહ્યો. બીજો સાંભળઃ ગુરુ જો ગૃહસ્થાશ્રમી હોય, તો તે સઘળું ધન ગુરુને આપી દેવું. એ ધન-અર્પણનો બીજો પ્રકાર છે. (૧૬,૧૭)

વાણી – અર્પણનો પ્રકાર

છંદ

ભાખત ગુનગન ગુરુકે બાની સુદ્ધ |
દોષ ન કબહુ અર્પણ કરિ ઇમ બુદ્ધ || ૧૮ ||

વાણી વડે ગુરુના ગુણોનું વર્ણન કરવું, પણ દોષ કદાપિ બોલવા નહિ; એ ગુરુને વાણી અર્પણ કરવાનો પ્રકાર છે. (૧૮)

શિષ્યનો ગુરુના સંબધમાં વ્યવહાર

સોરટા

જો ચાહૈ કલ્યાન, તનમનધનવચ અરપિ ઈમ |
વસૈ બહુત ગુરુસ્થાન, ભિચ્છા તૈ જીવન કરૈ || ૧૯ ||

જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે પાછળ કહ્યું તેમ ગુરુને શરીર, મન, ધન અને વાણી અર્પણ કરીને ઘણા કાળ સુધી ગુરુ હોય ત્યાં અથવા સમીપમાં રહેવું; અને બ્રહ્મચારી કે ત્યાગી શિષ્ય હોય તો તેણે ભિક્ષા માગી જીવન ચલાવવું. (૧૯)

ચૌપાઈ

સો ભિક્ષા ધરિ દૈશિક આગે, નિજ ભોજનકું નહીં પુનિ માગે |
જો ગુરુ દેહ તુ જાઠર ડારૈ, નહીં દૂજે દિનવૃત્તિ સંભારૈ || ૨૦ ||

શિષ્યે જે ભિક્ષા માગી આણી હોય, તે પોતેજ ખાઈ લેવી નહિ, પણ તે ગુરુની પાસે મૂકી દેવી. જો ગુરુ તેમાંથી કાંઈ આપે તો તે શિષ્યે લઈને ખાઈ લેવું; ન આપે તો બીજે દિવસે પણ એ જ પ્રમાણે ભિક્ષા માગી લાવીને ગુરુને આપવી. એક દિવસમાં બે વખત ભિક્ષા માગવા જવું નહિ. (૨૦)

દોહા

પુનિ ગુરુકે આગે ધરૈ, ભિક્ષા શિષ્ય સુજાન |
નિર્વેદ ન જિયમૈં કરૈ, જો નિજ ચૈ કલ્યાન || ૨૧ ||

બીજે દિવસે પણ શિષ્ય-ધર્મને સારી રીતે જાણનારો તે શિષ્ય ભિક્ષા માગી લાવીને ગુરુની પાસે મૂકે; જો તે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તો તેણે તેમ કરતાં મનમાં કોચવાવું નહિ. (૨૧)

ચૌપાઈ

ઈમ વ્યવહૃત અવસર જબ પેખૈ, મુખ પ્રસન્ન સન્મુખ લેખૈ |
વિનતિ કરે દોઉ કર જોરી, ગુરુ આજ્ઞાતૈ પ્રશ્ન બહોરી || ૨૨ ||

આ રીતે વ્યવહાર કરતાં કરતાં જ્યારે ગુરુને અવકાશ છે એમ માલૂમ પડે અને ગુરુ પ્રસન્ન મુખથી પોતાના તરફ જુએ, ત્યારે હાથ જોડી ગુરુની સ્તુતિ કરી વિનતિ કરવી કે, હે ભગવન્ | મારે કાંઈક પૂછવાની ઈચ્છા છે. પછી ગુરુ પૂછવાની આજ્ઞા કરે તો પ્રશ્ન કરવો. (૨૨)

દોહા

તનમનધનબાની અરપિ, જિહિં સેવત ચિત લાય |
સકલરુપ સા આપ હૈ, દાદુ સદા સહાય || ૨૩ ||

જે પુરુષ પાછળ કહ્યા પ્રમાણે તન, મન, ધન અને વાણીને અર્પણ કરીને ગુરુની ખરા ભાવથી (એક ચિત્તથી) સેવા કરે છે, તે પોતે જ સર્વ જગતરૂપ છે અને દાદુ સદા તેને સહાય કરે છે. (૨૩)

તરંગ ત્રીજો સમાપ્ત


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

જોજો આ ઘર ધંધાની ઘાણી – (36)

જોજો આ ઘર ધંધાની ઘાણી, કંઇક પીસાઇ ગયા પ્રમાણી –ટેક

સંસાર રૂપી ઘાણી ઘાલી, માયાની લાટ મંડાણી
બેલ જીવની જનમ મરણની, સીમા નક્કી ના કરાણી –1

હું ને મારામાં તું ને તારામાં, આખી જુગત અટવાણી
દશે દિગપાળ દેવને દાનવ, બ્રહ્માને બ્રહ્માણી –2

જ્ઞાનીજનોએ ગોથાં ખાધા, માયામાં મતિ મુંજાણી
પારાશર જેવાને પકડી રાખ્યા, દિન રાત ન જણાણી –3

સતગુરુને શરણ થયો ત્યારે, સઘળી સાન સમજાણી
ભજનપ્રકાશ આ આખી દુનીયા, દુબજાની દોરીએ દોરાણી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.