Daily Archives: 06/11/2008

સુખદુઃખ મનમાં ન આણીએ – નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

નાથ તમે ભક્તનકે રખવારે – (35)

રાગઃ- જગત છે ઝાંઝવાનું પાણી

નાથ તમે ભક્તનકે રખવારે, મેં આયો શરણ તુમ્હારે –ટેક

અધમ ઓધારણ બિરદ તમારે, એમ વેદ વાણી પુકારે
પતિત પાવન નામ સુન આયો, રાખો શરણ તુમ્હારે –1

જ્યારે જ્યારે ભક્તજન ને, ભીડ પડેલી જે વારે
ત્યારે ત્યારે દોડતા આવી, કાજ સારાં સુધારે –2

વિભીષણના વચન સુણીને, રાવણ લાત મારે
ત્રાહિ ત્રાહિ આય પોકારે, શરણોમેં સ્વીકારે –3

માયા તારી મતિ મુંજાવે, ખોટી વાત વિચારે
ભજનપ્રકાશ તારૂં ભજન કરતાં, ધીરજ છોડાવે ધરારે –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (9)


ગતાંકથી આગળ…


તો પ્રશ્ન થાય કે આખુ જગત પૂર્ણ છે ૐ પૂર્ણ મદઃ જોતા તો તેથી સંપ્રદાયની શી જરૂર છે? સંપ્રદાય પૂર્ણનો વધારો કે સુધારો કરી શકે નહીં અને પૂર્ણમાં સુધારો થાય તો તે પૂર્ણ કહેવાય નહીં. સંપ્રદાય પોતે સામાન્ય રીતે અપૂર્ણ રહે છે. તેનું ખાસ કારણ તે છે કે મૂળ પુરુષ જે આત્મજ્ઞાન માટે સરળ પદ્ધતિ બતાવી હોય તેના દેહાંત પછી તે પદ્ધતિ સમજાવનાર કોઈ ઠીક રીતે બરાબર સમજાવી શકે તેવા પુરુષનો અભાવો રહે છે. દીવા પાછળ અંધારું. તેમ કોઈ તેજસ્વી મહાપુરુષ હોતો નથી જ્યાં જ્યાં તેવા મૂળ પુરુષ પર નજર કરીએ તો બહુ પ્રકારે તેમાં આવાનો અભાવો જણાય છે. કાંઈક અંશે કોઈ હોય તો પણ પરંપરામાં નબળાઈ જણાતી આવે છે અને ઠીક કોઈ મહાપુરુષ જો ત્યાં પ્રગટ થઈ જાય તો ફરી તેને શોભાવે છે બહુ પ્રકારે મળતો નથી. તેથી આત્મજ્ઞાનને બદલે અજ્ઞાન વધે તેવી રુઢીઓ બંધાવા લાગે છે. અને ઉલટું અજ્ઞાનનો વધારો થાય છે. અને અજ્ઞાન વર્ધક ધારા ધોરણ નક્કી થાય છે. અને તેવી રુઢીઓ નક્કી થાય છે અને બહારની દૃષ્ટિને લલચાવે તેવા નિયમો તે તે સંપ્રદાયમાં ઉત્પન્ન થાય છે.

કોઈ સંપ્રદાયની અંદર પાણી ઓછું ઢોળવું તેવો નિયમ છે. કારણ કે પાણી ઢોળાય તો ત્યાં જંતુ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન ન થાય તો તેટલી હિંસાથી બચી શકાય તેથી તે સંભાળ રાખે છે. એટલે ઘણા કહેતા હોય કે ભાઈ રાખે તેનો ધર્મ છે. જુવો હું બે મહિનાથી નહાયો નથી. ઠીક છે. વાત પણ વાસ્તવિક રીતે જોતા જે પાણીથી માણસ કે જીવ ઉત્પન્ન થાય છે તે જ પાણીથી જીવે છે. અને પાણી વિના જ મરે છે. શરીરમાં પણ પાણી ઘટી જાય તો માણસ જીવી શકતો નથી. તેથી પાણીની કિંમત છે. અને દુષ્કાળ વખતે પાણીની કિંમત સમજાય છે. તેથી ઓછું ઢોળવું જોઈએ. માણસ નવા નવા આશ્રમો અને નવા નવા સંપ્રદાયો અને સંઘો બનાવતો જાય છે. અને શરૂઆતમાં તો ખુબ ઉત્સાહી હોય છે અને તે સાહસિક માણસોએ સમાજના અમુક હેતુ માટે ઉભા કરેલા હોય છે. અને અમુક સંપ્રદાય તો મૂળ પુરુષના દેહાંત પછી એવા બની જાય છે કે ત્યાં જે મૂળ હેતુથી ઊભા કરેલ હોય અને તેમાં પછી મૂળ હેતુનું તો નામ નિશાન પણ રહેતુ નથી કારણ કે મૂળ પુરુષ પછી પણ જો સારો માણસ મૂળ પુરુષની જ્ઞાન પરંપરાને સાચવનાર ન રહે તો સઘળાની દશા એવી થાય છે અને જો મળી રહે તો ઠીક હેતુ સચવાય છે. તેમાં પણ વળી ફરી કોઈ કાલાન્તરે કોઈ મળી આવે તો ફરી હેતુને ચેતના ભરી આપે છે. જાગૃત બનાવે છે. આપણે અહીં જે માણસ જે આશય કે હેતુથી આશ્રમ સ્થાપે છે તેના ગયા પછી તે આશ્રમની વ્યવસ્થા તે આશયથી કે હેતુથી સભાળનાર ઓછા મળે છે. તેનું મૂળ કારણ તે છે કે તેવી સંસ્થાઓ જે જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપતી નથી અને તેવી સંસ્થાઓ પણ ઓછી હોય છે કે જે પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપે જે જીવનનો હેતુ સમજાવે. આત્મા પરમાત્માનું જ્ઞાન આપે અને તેવા અધિકારી પણ ઓછા હોય છે અને તે પરમ પુરુષાર્થનો આધાર સૌ સૌના આત્મ બળ પર છે. અને જેને આત્મજ્ઞાન થાય છે તે કોઈ પણ સંપ્રદાયિક વાડામાં બંધાતો નથી. સંપ્રદાયમાં દિક્ષા શિક્ષા લેવી જરૂરી છે

મતલબ કે કોઈ પણ સંપ્રદાયમાં જન્મ લેવો કે થવો જરૂરી છે પરંતુ મૃત્યુ તો વાડાના બંધન બહાર મુક્તપણે થવું જોઈએ. વિશાળતા વ્યાપકતા આપણું અંતિમ લક્ષ્ય છે. અસલ જીવન પણ શાશ્વત અમર જીવન છે તે ચુકવું ન જોઈએ. સંપ્રદાય પોતે અધૂરો કે અપૂર્ણ છે. પરંતુ સંપ્રદાય કરતા આત્મજ્ઞાની પુરુષની કિંમત અધિક છે પણ તે પુરુષને જ્ઞાન જે રીતે થયું હોય તે રીતે બીજાને સમજાવવું હોય તો પદ્ધતિની જરૂર પડે છે. અને તેમાંથી જ સંપ્રદાય ઊભો થાય છે કે ઉત્પન્ન થાય છે. વળી લગભગ દરેક મહાત્માઓને આત્મજ્ઞાન જુદી જુદી રીતે થાય છે. તેથી નવા નવા સંપ્રદાય ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાની પુરુષની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી તે સંપ્રદાયથી સારો લાભ મળે છે લોકોને. પરંતુ તે મૂર્તિ બ્રહ્મલીન થયા પછી જોઈએ તેવો લાભ મળતો નથી. કારણ કે તે મહાપુરુષ સત્યની જ મૂર્તિ કે મૂર્તરૂપ હોય છે. તેથી પ્રગટ સત્યથી પ્રગટ લાભ થઈ શકે છે. મૂળપુરુષને તત્વની ઝાંખી કે અનુભવ લેવામાં જે મુશ્કેલીઓ પડી હોય તેથી તે શિષ્યોની મુશ્કેલીઓને તે તપાસી કે સમજી શકે છે. અને તે પ્રમાણે રસ્તો બતાવી શકે છે. કોઈ અધ્યાત્મ પથ પર ચાલનારા ઉત્તમ જિજ્ઞાસુ હોય થોડા કષ્ટથી મુશ્કેલીથી રસ્તો પસાર કરી શકે છે. પરંતુ તેના બ્રહ્મ લીન થયા પછી તેની જગ્યાએ અંતિમ લક્ષ્યને પામેલો કે પહોંચેલો પુરુષ છેવટે ન મળવાથી બીજાઓને મુશ્કેલીમાં રસ્તો મળતો નથી. તેથી જેને પોતાના ગુરુની જ્ઞાન પરંપરામાં કે જે ગુરુએ આપ્યું છે સંપ્રદાન કર્યું છે તેમાં જેને વિશ્વાસ તથા શ્રદ્ધા હોય તે માણસ પોતાના મૂળ પુરુષના લખાણો વાંચે પુસ્તકો વાંચે કાવ્યો જીભે ગાય અને અન્ય જગ્યાએ પણ જે આત્માના અનુભવવાળા છે તેવા પુરુષ મળે તે સાથે તે જ્ઞાનને સરખાવશે તો જરૂર ત્યાં એકતા અદ્વૈતતા જણાશે. પરંતુ જ્યારે પોતાના મૂળ પુરુષના જ્ઞાનની શિષ્ય પરંપરા ચાલે છે. ત્યારે ઘણા તેમ માનતા થઈ જાય છે મારું છે તે જ સાચુ છે. અન્યનું બરાબર નથી. આ જ્યારે માન્યતા ઊભી થાય છે ત્યારે સત્ય લુપ્ત થઈ જાય છે. પરમ તત્વ તેવી માન્યતામાં ઢંકાઈ જાય છે. દરેક ધાર્મિક સંપ્રદાયે પોતાના જીવનનો હેતુ વિશાળ બનાવવો જોઈએ. વિશાળતામાં તથા વ્યાપકતામાં જીવન ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મહાપુરુષ યોગ બતાવે છે અને કહે છે કે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરો. સમાધિ કરો. આસન પ્રાણાયામ ધ્યાન ધારણા કરો. ઇત્યાદિ ઇત્યાદિ અંગોનું સેવન કરો. મોક્ષ થશે. આત્મજ્ઞાન થશે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ ત્રીજો

ગુરુશિષ્ય લક્ષણ અને ગુરુભક્તિફળ

(૧) ગ્રંથારંભની પ્રતિજ્ઞા

દોહા

પેખ ચારિ અનુબન્ધયુત, પઢૈ સુનૈ યહ ગ્રન્થ |
જ્ઞાનસહિત ગુરુસે જુ નર, લહૈ મોક્ષકો પન્થ || ૧ ||

ચારે અનુબંધ સહિત ગ્રંથને જાણી જ્ઞાની ગુરુ પાસેથી જે આ ગ્રંથ ભણે અથવા એકાગ્ર ચિત્ત કરી સાંભળે, તેને મોક્ષનો માર્ગ જે જ્ઞાન તે પ્રાપ્ત થાય છે. (૧)

દોહા

અનાયાસ મતિ ભૂમિમૈં જ્ઞાન ચિમન આબાદ |
વ્હૈ ઈહિ કારન કરત હૂં, ગુરુશિષ્યસંવાદ || ૨ ||

શ્રોતાની બુદ્ધિરૂપી પૃથ્વીમાં જ્ઞાનરૂપી બાગ વિના પ્રયાસે આબાદ થાય (અર્થાત્ ગ્રંથનો બોધ શ્રોતાને સુખથી થાય) માટે ગુરુશિષ્યના સંવાદરૂપે આ ગ્રંથનો આરંભ કરીએ છીએ. (૨)

(૨) ગુરુનું લક્ષણ

ચૌપાઈ

વેદ અર્યકૂં ભલે પિછાનૈ, આતમ બ્રહ્મરુપ ઈક જાનૈ |
ભેદ પન્ચમ કી બુદ્ધિ નશાવૈ, અદ્વય અમલ બ્રહ્મ દરશાવૈ || ૩ ||
ભવ મિથ્યા મૃગતૃષા સમાના, અનુલવ ઈમ ભાષત નહિ આના |
સો ગુરુ દે અદ્ભુત ઉપદેશા, છેદક શિખા ન લુન્ચિત કેશા || ૪ ||

જે ગુરુ વેદના અર્થને ભલા પ્રકારે જાણતા હોય તથા આત્મા અને બ્રહ્મને એકરૂપે જાણતા હોય, જે ગુરુ પાંચ પ્રકારના ભેદની બુદ્ધિનો નાશ કરે તથા દ્વૈતરહિત અને નિર્મળ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે વળી જે ગુરુ સંસારને મૃગતૃષ્ણા સમાન મિથ્યા છે અને બ્રહ્મભિન્ન બીજું કાંઈ છે નહિ એમ સર્વદા કહ્યા કરે છે, એવો ગુરુ અદ્ ભુત ઉપદેશ આપવાને યોગ્ય છે. તે સિવાય શિષ્યની શિખા કાપનારા અથવા માથાના વાળનો લોચ કરનારા (તોડીને બોડું કરનારા) ગુરુ ઉપદેશ આપવાને યોગ્ય નથી. (૩,૪)

કરત મોક્ષ ભવગ્રાહતે, દે અસિ નિજ ઉપદેશ |
સો દૈશિક બુધ જન કહત, નહિ કૃત ગૈરિકવેશ || ૫ ||

જે પોતાની ઉપદેશરૂપી તલવારથી સંસારરૂપી મગરને મારીને તેનાથી શિષ્યને છોડાવે છે, તેને પંડિતો આચાર્ય કહે છે, માત્ર ભગવાં લૂગડાં ધારણ કરનારને નહિ. (૫)

શિષ્યનાં લક્ષણ

દૈશિક કે લક્ષણ કહે, શ્રુતિ મુનિ વચ અનુસાર |
સો લક્ષણ હૈ શિષ્યકે, વ્હૈ જિતને અધિકાર || ૬ ||

વેદ અને શાસ્ત્રનાં વચનોને અનુસરીને ઉપર ગુરુનાં લક્ષણો કહ્યાં છે. હવે જે સાધનોથી ગ્રંથ સમજવાનો અધિકાર (યોગ્યતા) પ્રાપ્ત થાય, તે સાધનોને શિષ્યનાં લક્ષણો જાણવાં; અર્થાત્ પાછળ પહેલા તરંગમાં વિવેકાદિ અધિકારીનાં લક્ષણો કહ્યાં છે, તે જ લક્ષણોને શિષ્યનાં જાણી લેવાં. (૬)

ગુરુભક્તિના ફળનું વર્ણન

ઈશ્વરતે ગુરુમેં અધિક, ઘોર ભક્તિ સુજાન |
બિન ગુરુભક્તિ પ્રવીણ હૂં, લહૈ ન આતમજ્ઞાન || ૭ ||

શિષ્યે ઈશ્વર કરતાં પણ ગુરુની વધારે ભક્તિ કરવી; કેમ કે કોઈ માણસ સઘળાં શાસ્ત્રોમાં પ્રવીણ હોય, તથાપિ ગુરુભક્તિ વિના આત્મજ્ઞાન મેળવી શકતો નથી. (૭)

વેદ ઉદધિ બિનગુરુ લખૈ, લાગૈ લૌન સમાન |
બાદર ગુરુમુખ વ્હૈ, અમૃતસે અધિકાન || ૮ ||

વેદરૂપી સમુદ્રનું પાન જો ગુરુ વિના કરે, તો તે લવણ સમાન ખારું લાગે છે; પણ તે જ જળ ગુરુમુખરૂપી વાદળને દ્વારે આવે છે, ત્યારે અમૃતથી પણ વધારે મીઠું લાગે છે. (૮)

જ્ઞાની ગુરુ પાસેથી વેદાર્થનાં પાઠ અને શ્રવણની યોગ્યતા

દતિપુટ ઘટ સમ અજ્ઞ જન, મેઘ સમાન સુજાન |
પઢે વેદ ઈહિ હેતુતૈં, જ્ઞાનીપૈ તજિ આન || ૯ ||

અજ્ઞાની માણસો ચામડાની બોખ અથવા મસક જેવા છે. ચામડાની બોખથી સમુદ્રનું પાણી આણીએ, તેમાં કોઈ વિલક્ષણ સ્વાદ આવતો નથી, તેમ અજ્ઞાની માણસ પાસેથી ગ્રહણ કરેલા વેદરૂપી સમુદ્રનું અર્થરૂપી જળ પણ વિલક્ષણ આનંદ આપતું નથી; માટે અજ્ઞાની ગુરુઓ ચામડાની બોખ જેવા છે. જ્ઞાની ગુરુ મેઘ જેવા છે, તે વાત પૂર્વે કહેવાઈ છે; માટે ચર્મપાત્ર જેવા અજ્ઞાની ગુરુઓને છોડીને મેઘ સમાન જ્ઞાનીગુરુ પાસેથી વેદના અર્થ શીખવા અથવા સાંભળવા. (૯)

ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે

બ્રહ્મરુપ અહિ બ્રહ્મવિત, તાકી બાની વેદ |
ભાષા અથવા સંસ્કૃત, કરત ભેદભ્રમ છેદ || ૧૦ ||

બ્રહ્મવેત્તા પુરુષ બ્રહ્મરૂપ છે એ વાત શ્રુતિમાં પ્રસિદ્ધ છે; માટે તેની વાણી વેદરૂપ છે; પછી તે પ્રાકૃત ભાષારૂપ હોય કે સંસ્કૃતરૂપ હોય, તથાપિ તે ભેદરૂપી ભ્રમનો નાશ કરે છે; અર્થાત્ આત્માના સ્વરૂપનાં પ્રતિપાદક વાક્યોથી જ્ઞાન થાય છે, પછી તે વેદનાં હોય કે બીજાં હોય; માટે ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે. (૧૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

Blog at WordPress.com.