Monthly Archives: November 2008

અકર્મની એક બાજુ – સંન્યાસ – (19)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૯ – અકર્મની એક બાજુ – સંન્યાસ

12.સંન્યાસની કલ્પના શી છે ? કેટલાંક કર્મો કરવાનાં છોડી દેવાં ને કેટલાંક કર્મો કરવાં એવી એ કલ્પના છે કે ? સંન્યાસનો ખ્યાલ એવો નથી. સંન્યાસની વ્યાખ્યા મૂળમાં એવી છે કે બધાં કર્મો છોડી દેવાં. સર્વ કર્મોમાંથી મુક્ત થવું, કર્મો બિલકુલ ન કરવાં તેનું નામ સંન્યાસ છે. પણ કર્મ ન કરવું એટલે શું ? કર્મ બહુ ચમત્કારિક છે. સર્વકર્મસંન્યાસ થાય કેવી રીતે ? આગળ-પાછળ, સર્વત્ર કર્મ વ્યાપીને રહેલું છે. અરે બેસી રહો તો પણ તે એક ક્રિયા થઈ. બેસવું એ ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણની દ્રષ્ટિથી એ ક્રિયા છે એવું નથી, સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. બેટાં બેઠાં જાંઘ દુખવા માંડે છે. બેસવામાં પણ મહેનત છે. ન કરવું એ સુધ્ધાં ક્રિયા ઠરે છે ત્યાં કર્મસંન્યાસ થાય કેવી રીતે ? ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. ચારે બાજુ ફેલાઈ રહેલા વિવરૂપને જોઈ અર્જુન બીધો ને ગભરાટના માર્યા તેણે આંખ મીંચી દીધી. પણ આંખ બંધ કરીને જુએ છે તો અંદર દેખાવા લાગ્યું. આંખ બંધ કરવા છતાં જે દેખાય તેનાથી અળગા રહેવું કેવી રીતે ? ન કરવાથી પણ જે થઈને ઊભું રહે છે તેને ટાળવું કેમ ?

13. એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા. નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું, “ કેવો મૂરખ છે ! અરે અજાગળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. ” નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. “ હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. ” પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં ! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આવું ને આટલું જે વ્યાપક કર્મ, તેનો સંન્યાસ કઈ રીતે થાય ?

14. આવા આ કર્મનો સંન્યાસ કરવાની રીત જ એ છે કે જેટલાં જેટલાં કર્મો કરવાનાં હોય તે બધાંયે કરતા રહેવા છતાં તે બધાં ખરી જાય એવી તરકીબ સાધવી. એવું થાય ત્યારે જ સંન્યાસ સધાયો જાણવો. કર્મો કરવા છતાં તે બધાંયે ખરી જાય એ વાત કોના જેવી છે ? સૂર્યના જેવી છે. સૂર્ય રાત ને દિવસ કર્મમાં મંડ્યો રહે છે. રાત્રે પણ તેનું કર્મ ચાલુ હોય છે. તેનો પ્રકાશ બીજા ગોળાર્ધમાં પોતાનું કામ કરે છે. પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ કહી શકાય. એથી તો ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે, “ મેં આ યોગ પહેલાં સૂર્યને બતાવ્યો. અને પછી વિચાર કરનારો, મનન કરનારો મનુ સૂર્ય પાસેથી તે યોગ શીખ્યો. ” ચોવીસ કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશમાત્ર કર્મ આચરતો નથી. ખરેખર આ સ્થિતિ અદ્ભૂત છે એમાં જરાયે શક નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

મા તો એક જ મળે – કાંતે ડગ્લાસ વિજીન

મોટા ભાગની બીજી બધી સુંદર વસ્તુઓ આપણા જીવનમાં બે-બે, ત્રણ-ત્રણ કે ડઝન-ડઝન, સો-સોની સંખ્યામાં આવી મળે છે. પુષ્કળ ગુલાબો, તારાઓ, સૂર્યાસ્તો, મેઘધનુષો, ભાઈઓ-બહેનો-માશીઓ-પિતરાઈઓ,સાથીદારો,મિત્રો.

પરંતુ આખાએ વિશ્વમાં મા તો એક જ મળે છે.

– કાંતે ડગ્લાસ વિજીન

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

વૃંદાવનમાં બંસી વાગી – (59)

વૃંદાવનમાં બંસી વાગી, ગોપી ઝબકી જાગી
આકુળ વ્યાકુળ મનમાં થાતી, જીવન જોવા ભાગી –ટેક

ચિત્તડાંની શુધ્ધ બુધ્ધ ભૂલી, ઓઢણી અવળી ઓઢી
ટીલી જગ્યાએ સેંથો પૂર્યો, માથે ટીલી ચોડી –1

હાથનાં કડાં પગમાં પહેર્યા, પગના ઝાંઝર હાથમાં
નાકની નથડી કાનમાં પહેરી, કાનની કળી નાકમાં –2

ગાયને દોહ્યા વિના ગોપીએ, વાછરૂ મેલ્યાં છોડી
ધાવતાં બાળક પડતાં મેલ્યા, મોહન મળવા દોડી –3

માથું ગુંથતી ભૂલી ગોપી, વેણીને વિસારી
આભૂષણ અવળાં પહેરી ચાલી, રાત અંધારી –4

વનમાં મીઠી બંસી બાજે, વગાડે વનમાળી
ભજનપ્રકાશ ગોપી સ્વામીને મળી, રજની રઢીયાળી –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

અકર્મદશાનું સ્વરૂપ – (18)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

7. કર્મની સહજતા સમજવાને માટે એક જાણીતો દાખલો લઈએ. નાનું છોકરૂં પહેલવહેલું ચાલતાં શીખે છે તે વખતે તેને કેટલું કષ્ટ પડે છે ! તે ચાલે છે તેનું આપણે પણ કૌતુક કરીએ છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ ચાલતો થયો ! પણ પછી તેનું ચાલવાનું સહજ થઈ જાય છે. એક તરફ ચાલે છે ને સાથે બીજી તરફથી વાતો કરતો જાય છે. ચાલવા તરફ તેને ધ્યાન સરખું રાખવું પડતું નથી. એવું જ ખાવાનું છે. નાના છોકરાને માટે આપણે પહેલું ખાતાં શીખવવાને અબોટણું એટલે અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરીએ છીએ. કેમ જાણે ખાવાનું એ કોઈ મોટું કામ ન હોય ! પણ પછી એ ખાવાની ક્રિયા સહજ કર્મ બની જાય છે. માણસ તરતાં શીખે છે ત્યારે તેને કેટલી મહેનત પડે છે ? શરૂઆતમાં તરતાં તરતાં તે થાકી જાય છે. પણ પાછળથી બીજી મહેનત કરીને થાકે છે ત્યારે કહે છે, ચાલો જરા તરવા જઈએ તો થાક ઊતરશે ને સારૂં લાગશે. પછી તે તરવાનું કાર્ય મહેનતનું લાગતું નથી. શરીર સહેજે પાણી પર તરે છે. થાકવાનો ધર્મ મનનો છે. મન જે તે કામમાં ગૂંથાયેલું હોય ત્યારે તેનો થાક ચડે છે. પમ કર્મો સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી. કર્મ જાણે કે અકર્મ બને છે. કર્મ આનંદમય બની જાય છે.

8. કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારૂ સ્વધર્માચરણરૂપી કર્મ કરવાનાં હોય છે. એ કર્મ કરતાં કરતાં દોષ દેખાય તે દૂર કરવાને વિકર્મને વળગી રહેવાનું છે. અને આવો અભ્યાસ પાડતાં પાડતાં મનની એક એવી બેઠક બંધાઈ જાય છે કે કર્મનો જરાસરકો ત્રાસ પડતો નથી. આપણે હાથે હજારો કર્મો થાય છતાં મન નિર્મળ, શાંત રહે છે. તમે આકાશને પૂછો, ‘ અરે ભાઈ આકાશ ! તું તડકાથી ચીમળાઈ જતું હશે ! ’ આકાશ શું કહેશે ? તે કહેશે, ‘ મને શું શું થતું હશે તે તમે જ નક્કી કરો. મને કશી ખબર નથી. ’

‘ पिसें नेसलें कीं नागवें । लोकीं येउन जाणावें । ’

ગાંડાએ પહેરેલું છે કે નાગો છે તે લોકોએ આવીને જાણવું. ગાંડા માણસે લૂગડું ઓઢ્યું છે કે નાગો છે તે લોકોએ નક્કી કરવું. ગાંડાને તેનું ભાન હોતું નથી. આખી વાતનો ભાવાર્થ એટલો કે સ્વધર્માચરણનાં કર્મો વિકર્મની સહાયથી નિર્વિકાર કરવાની ટેવ કેળવાતાં તે બધાં સ્વાભાવિક થઈ જાય છે. મોટા મોટા પ્રસંગો પણ પછી કઠણ લાગતા નથી. કર્મયોગની આવી આ કૂંચી છે. કૂંચી નહીં હોય તો તાળું તોડતાં હાથે ફોલ્લા ઊઠ્યા વગર નહીં રહે. પણ કૂંચી જડી કે એક ક્ષણમાં કામ ખલાસ ! કર્મયોગની આ કૂંચીને લીધે બધાં કર્મો નિરૂપદ્રવી લાગે છે. આ કૂંચી મનને જીતવાથી મળે છે. મનોજયને સારૂ એકધારી ને ચીવટથી કોશિશ કરવી જોઈએ. કર્મ આચરતાં આચરતાં મનના જે મેલ દેખાય તે બધા ધોઈ કાઢવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું જોઈએ. એ પછી બાહ્ય કર્મો ત્રાસરૂપ લાગતાં નથી. કર્મનો અહંકાર ખુદ નાબૂદ થાય છે. કામક્રોદના વેગ નાશ પામે છે. કલેશનો ખ્યાલ સરખો રહેતો નથી. અરે, ખુદ કર્મ કર્યાનો ખ્યાલ પણ બાકી રહેતો નથી.

9. એક વાર મને એક ભલા માણસે કાગળ લખ્યો કે, ‘ અમુક આટલા રામનામના જપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લેજો અને રોજ કેટલા જપ કરશો તે તજણાવજો. ’ તે ભાઈ પોતાની સમજ મુજબ આ બધી મહેનત કરતા હતા. હું આ તેનો દોષ કાઢવાને નથી કહેતો. પણ રામનામ કંઈ ગણવાની ચીજ નથી. મા પોતાના બાળકની સેવા કરે છે. તે શું તેનો રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે ? રિપોર્ટ પ્રસિદ્ધ કરે તો ‘ थेँक यू ’ કહીને તેના ઋણમાંથી તાબડતોબ છૂટા થવાય. પણ મા પોતાની સેવાનો રિપોર્ટ આપતી નથી. તે કહે છે, ‘ મેં શું કર્યું ? મેં કંઈ કર્યું નથી. મેં કર્યું તેનો શું મને કંઈ ભાર લાગ્યો ? ’ વિકર્મની મદદથી મન પરોવીને, હ્રદય રેડીને માણસ કર્મ કરે છે ત્યારે તે કર્મ જ રહેતું નથી. તે અકર્મ બને છે. પછી તેમાં કલેશ, કષ્ટ, વાંકુંચૂકું કશું રહેતું નથી.

10. આવી સ્થિતિનું વર્ણન કર્યું કરાય તેવું નથી. એ સ્થિતિની બહુ તો ઝાંખી કલ્પના આપી શકાય. સૂર્ય ઊગે છે. પણ હવે હું અંધારૂં દૂર કરીશ, પંખીઓને ઊડતાં કરીશ, લોકોને કામ કરવામાં પ્રવૃત્ત કરીશ, એવું બધું તેના મનમાં હોય છે ખરૂં કે ? તે ઊગે છે ને ત્યાં સામો આવીને ઊભો રહે છે. તેનું એ અસ્તિત્વ વિશ્વને ચાલના આપે છે. પણ સૂર્યને તેનું ભાન સરખું નથી. તમે સૂર્યને કહેશો કે, “ અરે સૂરજ, તારા ઉપકારનો પાર નથી. તેં કેટલું બધું અંધારૂં દૂર કર્યું ? ” તો તેથી સૂર્ય મૂંઝાશે. તે કહેશે, “ ચપટીભર અંધારૂં મને લાવીને બતાવો. પછી તેટલું જો હું દૂર કરી શકું તો કહું કે એમાં મેં કંઈક કર્યું છે. ” અંધારાને સૂર્યની પાસે લઈ જઈ શકાય ખરૂં કે ? સૂર્યની હયાતીથી અંધારૂં દૂર થતું હે, તેના અજવાળામાં કોઈ સદ્ગ્રંથ વાચતા હશે તો બીજા વળી કોઈ અસદ્ગ્રંથ પણ વાચતા હશે. કોઈ આગ લગાડતા હશે તો બીજા કોઈ વળી પરોપકારનાં કામો કરતા હશે. પણ એ બધાં પાપ પુણ્યની જવાબદારી સૂરજની નથી. સૂર્ય કહે છે, “ પ્રકાશ મારો સહજ ધર્મ છે. મારી પાસે પ્રકાશ નહીં હોય તો બીજું શું હોય ? હું પ્રકાશ આપું છું તેની મને ખબર નથી. મારૂં હોવું તેનું જ નામ પ્રકાશ છે. પ્રકાશ આપવાની ક્રિયાની મહેનત મેં જાણી નથી. હું કંઈક કરૂં છું એમ મને લાગતું નથી. ” સૂર્યનું આ પ્રકાશ આપવાપણું સ્વાભાવિક છે તેવું જ સંતોનું છે. તેમનું જીવવું એ જ પ્રકાશ આપવાપણું છે. તમે જ્ઞાની પુરૂષને જઈને કહેશો કે, ‘ તમે મહાત્મા, સત્યવાદી છો, ’ તો તે કહેશે, ‘ હું સત્યથી ન ચાલું તો બીજું શું કરૂં છું ? ’ જ્ઞાની પુરૂષમાં અસત્યપણું સંભવતું જ નથી.

11. અકર્મની આ આવી ભૂમિકા છે. સાધન એટલા નૈસર્ગિક તેમ જ સ્વાભાવિક બની જાય છે કે તે નીપજ્યાં ને ગયાં એનો ખ્યાલ પણ રહેતો નથી. ઈન્દ્રિયોને એવું સહજ વલણ પડી જાય છે, सहज बोलणें हित उपदेश – જે સહેજે બોલે તે હિતોપદેશ, એવું બને છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ અકર્મ બને છે. જ્ઞાની પુરૂષને સત્કર્મો સહજ થઈ જાય છે. કિલબિલ કિલબિલ કરવું એ પંખીઓનો સહજ ધર્મ છે, માની યાદ આવવી એ બચ્ચાંનો સહજ ધર્મ છે, તે જ પ્રમાણે ઈશ્વરનું સ્મરણ થવું એ સંતોનો સહજ ધર્મ બની જાય છે. પરોઢિયે કૂકરે કૂક કરવાનો કૂકડાનો સહજ ધર્મ છે. સ્વરોની સમજ આપતાં ભગવાન પાણિનિએ કૂકડાના બોલવાનો દાખલો આપ્યો છે. પાણિનિના જમાનાથી આજ સુધી કૂકડો પરોઢિયે બોલતો આવ્યો છે તેટલા સારૂ તેને શું કોઈએ માનપત્ર આપ્યું છે ? કૂકડાનો એ સહજ ધર્મ છે. એવી જ રીતે સાચું બોલવું, ભૂતમાત્ર પર દયા રાખવી, કોઈની ખામી ન જોવી, સર્વની સેવાચાકરી કરવી વગેરે સત્પુરૂષનું કર્મ સહજ ચાલ્યા કરે છે. તે કર્યા વગર તેનાથી જિવાશે નહીં. કોઈ જમે તેટલા સારૂ આપણે તેનું ગૌરવ કરીએ છીએ કે ? ખાવું, પીવું ઊંઘવું એ બધાં સંસારી માણસોનાં સહજ કર્મો છે. તેવાં જ સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહીં કરૂં એવું તે કહે તો પણ એ તેના માટે અશક્ય છે. એવા જ્ઞાની પુરૂષનું એ કર્મ અકર્મ દશાએ પહોંચ્યું છે એમ સમજવું. આ દશાને જ સંન્યાસી એવી અત્યંત પવિત્ર પદવી આપવામાં આવી છે. સંન્યાસ આવી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે. એ દશાને જ કર્મયોગ પણ કહેવો. કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે યોગ છે. પણ કરવા છતાં કરૂં છું એમ કરનારને લાગતું નથી. એટલે તે સંન્યાસ છે. તે કંઈક એવી તરકીબથી કર્મ કરે છે કે તેનાથી તે લેપાતો નથી માટે તે યોગ છે અને કરવા છતાં તેણે કંઈ કર્યું ન હોવાથી તે સંન્યાસ છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

માતાની મહાનતા – બરકત વિરાણી

કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે, ચિત્રકાર કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે, પણ ઈશ્વર? ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી. એ માનવને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો. અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે. પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.

– બરકત વિરાણી

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

બારમાસનું કીર્તન – (58)

કારતકે કૃષ્ણના મન કોડ, થઇ મારે શ્યામ સરખી જોડ
હેડું બાંધી બેઠું હોડ, પ્રીતુ પ્રીતમ સાથે જોડ
દિવસ દોહ્યલા રે –1

માગશરે મનડું બહું મુંઝાય, મોહન મળવા માટે ધાય
વાલમ વિના નવ રહેવાય, અંતર ઉદાસી બહુ થાય
દિવસ દોહ્યલા રે –2

પોષે પુરુષોતમ પધારો, અવગુણ ઉર પ્રભુ નવ આણો
પ્રીતુ પુરવની પ્રભુ પાળો, દુઃખડા દાસીનાં મીટાડો
દિવસ દોહ્યલા રે –3

મહાએ માધવરાયની ટેક, મનડું મૂકે નહી હવે નેક
ગોપીએ પહેર્યો ભગવો ભેખ, જેવા લખ્યા વિધિના લેખ
દિવસ દોહ્યલા રે –4

ફાગણ ફૂલ્યો મોટે ફૂલ, જોબન જાય મોંઘા મૂલ
એવી કઇ અમારી ભૂલ, અવસર જાવે આ અણમૂલ
દિવસ દોહ્યલા રે –5

ચૈત્ર મહીને ચિત્તનો ચોર, અંતર બેઠો આઠે પહોર
વિરહ વેદના વ્યાપી ઘોર, કાળજ કૃષ્ણજી નવ કોર
દિવસ દોહ્યલા રે –6

વૈશાખે વિશ્વંભર વિશ્વાસ, આવશે અંતર એવી આશ
જીવન જોયે તારી વાટ, મહેલે નાવો શાને માટ
દિવસ દોહ્યલા રે –7

જેઠે જીવન જપીએ જાપ, અંતર તપે વિરહ તાપ
સેજ શૂળી સમ સંતાપ, નેણે નિંદ નાવે નાથ
દિવસ દોહ્યલા રે –8

અષાઢ મહીને આંસુ એલી, હ્રદયે હાલ્યો વિરહ રેલી
ગોપી થઇ છે જોબનઘેલી, દાસી શિદને વિસરી મેલી
દિવસ દોહ્યલા રે –9

શ્રાવણે ગોકુળ ગામની ગોપી, વિરહે હ્રદયે ઘણું રોતી
અન્નજળ ત્યાગી હરતી ફરતી, મનમાં મોહન મોહન કરતી
દિવસ દોહ્યલા રે –10

ભાદરવો મચ્યો ભરપૂર, ધીરજ રહે નહીં હવે ઉર
પ્રાણ વિત્યા પછીની પ્રીત, એ નહીં પ્રીતની જો રીત
દિવસ દોહ્યલા રે –11

આસો એ શરદ પુનમની રાત, રાસ રમ્યા મિલાવી હાથ
સોઇ મારા પ્રીતમની સંગાથ, પ્રેમે ગાવે ગુણ ભજનપ્રકાશ
દિવસ દોહ્યલા રે –12

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

માની સેવામાં ડૂબી જજો! – સ્વામી આનંદ

મારું માનો તો બધું કોરે મેલીને માની સેવામાં જ ડૂબી જજો. બીજી બધી સેવા ઈન્દ્રજાળ કે અફીણગોળી (dope) છે એમ ગણજો. પેગમ્બરે કહ્યું કે તારું સ્વર્ગ તારી માના પગની પાની હેઠળ છુપાયું છે અને આપણા લોકોએ કહ્યું કે મા-બાપની સેવા એ અડસથ તીરથની જાત્રા છે એ અમસ્તું નથી કહ્યું એ તમને જિંદગીને પાછલે પહોરે સમજાશે. પણ તે દિવસે એ સમજણ અલેખે ઠરશે. કારણ તક નહીં રહી હોય. શંકરાચાર્ય જેવા જ્ઞાની અને સંન્યાસીએ સંન્યાસધર્મને નેવે મૂકી માની સેવા કરી તેથી નાતીલાઓએ નિંદા કરી. શંકરાચાર્યે તેમને સંભળાવ્યું કે ‘તમે જખ મારો છો, હું ધર્મ વધારે સમજું કે તમે?’

– સ્વામી આનંદ


(શ્રી મકરન્દ દવે પરના પત્રમાંથી – ‘સ્વામી અને સાંઈ’ ગ્રંથમાંથી સાભાર)


Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

જરા મેલી માન ગુમાન – (57)

રાગઃ- બાગેશ્રી

જરા મેલી માન ગુમાન, મનવા રામ ભજો
આ જુઠી જાણી જંજાળ, મનવા રામ ભજો

આજકાલ કરતાં આવશે વાયદો, જરા નહીં હાલે ત્યાં તારો કાયદો
જમના સામું નહીં જોર, મનવા રામ ભજો

કુટુંબ કબીલો તારું ટગર ટગર જોશે, દશ દાડા તારી પાછળ રોશે
વિસરી જાશે તારી વાત, મનવા રામ ભજો

મેડીમોલાતમાં ઘડી એક રહેવું, કોડી એક દામ જરા સાથે ન લેવું
સાથે લેવાં પુણ્યને પાપ, મનવા રામ ભજો

હિસાબ આપવો હરિને પડશે, કાયા તારી ત્યારે થરથર કંપશે
ખાતામાં હશે જો ખોટ , મનવા રામ ભજો

રામના નામસું નેહ મને લાગ્યો, કાયાનો કારીંગો ભડકીને ભાગ્યો
આનંદ ઉર અપાર , મનવા રામ ભજો

હરખે હરખે હરિ ગુણ ગાયે, પ્રેમપ્યાલા ભજનપ્રકાશ પીએ પાયે
સંતોના સંગમાં રહી , મનવા રામ ભજો

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

મનની આરસી – બાહ્યકર્મ – (17)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૭ – મનની આરસી – બાહ્યકર્મ

૧. સંસાર બહુ ભયાનક ચીજ છે. ઘણી વાર તેને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. સંસારનું પણ એવું જ છે. સંસાર બધે ઠેકાણે ભરેલો છે. કોઈ એક જણ ઘરબાર છોડી જાહેર કામમાં પડે છે તો ત્યાં પણ સંસાર તેના મનમાં અડ્ડો જમાવીને બેઠેલો જ હોય છે. બીજો કોઈ વળી ગુફામાં જઈ બેસે છે તો ત્યાં પણ તેની વેંતભર લંગોટીમાં સંસાર ભારોભાર ભરેલો હોય છે. પેલી લંગોટી તેની માયામમતાનું સારસર્વસ્વ થઈ બેસે છે. નાની સરખી નોટમાં જેમ હજાર રૂપિયા ભરેલા હોય છે તેમ એ નાનકડી લંગોટીમાં પણ પાર વગરની આસક્તિ ભરેલી હોય છે. વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો તેટલાથી સંસાર ઓછો થતો નથી. દસપચીસાંશ શું કે બેપંચમાંશ શું, બંનેનો અર્થ એક જ છે. ઘરમાં બેસો કે વનમાં બેસો, આસક્તિ કેડો છોડતી નથી, પાસે ને પાસે રહે છે. સંસાર લેશમાત્ર ઓછો થતો નથી. બે યોગી હિમાલયની ગુફામાં જીને બેસે છતાં ત્યાંયે એકબીજાની કીર્તિ કાને પડતાંવેંત બળી ઊઠે છે. સાર્વજનિક સેવામાં પણ આવું જ જોવાનું મળે છે.

2. સંસાર આમ ખાઈપીને આપણી પાછળ પડેલ હોવાથી આપણે આપણી જાત પર સ્વધર્માચરણની મર્યાદા મૂકી હોય છતાં ત્યાંયે સંસાર છૂટતો નથી. અનેક ઊથલપાથલ કરવાનું છોડી, બીજો વિસ્તાર ઘટાડી પોતાનો સંસાર આપણે ટૂંકો કરીએ છતાં ત્યાંયે બધી માયામમતા ભરાઈ રહે છે. રાક્ષસ જેમ નાના થઈ જતા ને વળી મોટી થતા તેવું સંસારનું છે. નાના થાય કે મોટા થાય પણ આખરે રાક્ષસ તે રાક્ષસ. સંસારનું દુર્નિવારપણું હવેલીમાં કે ઝૂંપડીમાં સરખું છે. સ્વધર્મનું ધન મૂકી સંસાર પ્રમાણસરનો કરવા છતાં ત્યાંયે અનેક ઝઘડા ઊભા થયા વગર રહેતા નથી, અને તમને થઈ જાય છે કે હવો આ નથી જોઈતું. ત્યાં પણ અનેક વ્યક્તિઓ ને અનેક સંસ્થાઓ સાથે સંબંધમાં આવવું પડે છે અને તમે ત્રાસી જાઓ છો. તમને થાય છે કે આ હવે બહુ થયું. હવે નહીં જોઈએ. પણ તમારા મનની કસોટી એ વખતે થાય છે. સ્વધર્મનું આચરણ કરવા માંડવામાત્રથી અલિપ્તતા કેળવાઈ જતી નથી. કર્મનો પસારો ઘટાડ્યો એટલે ચાલો અલિપ્ત થઈ ગયા, એવું નથી.

3. ત્યારે અલિપ્તપણું મેળવવું કેવી રીતે ? તે માટે મનોમય પ્રયત્નની જરૂર છે. મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી. માબાપ કોઈક સંસ્થામાં પોતાના છોકરાને મૂકી આવે છે. ત્યાં તે પો ફાટતાં ઊઠે છે, સૂર્યનમસ્કારની કસરત કરે છે, અને ચા પીતો નથી. પણ ઘેર આવી બે દિવસમાં તે એ બધું છોડી દે છે એવો એનુભવ થાય છે. માણસ કંઈ માટીનો પિંડો નથી. જે ઘાટ તેના મનને આપવા ધારો તે તેના મનમાં પહેલાં ઊતરવો જોઈએ ખરો કે નહીં ? મન તે ઘાટમાં બેસે નહીં તો બહારની પેલી બધી તાલીમ નકામી ગઈ એમ કહેવું જોઈએ. એટલા સારૂ સાધનામાં માનસિક સહકારની ખૂબ જરૂર રહે છે.

4. સાધન માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ. બાહ્ય કર્મની પણ જરૂર છે. કર્મ કર્યા વગર મનની પરીક્ષા થતી નથી. સવારના પ્રશાંત પહોરે આપણું મન અત્યંત શાંત હોય એમ લાગે છે. પણ છોકરૂં જરા રડ્યું કે પછી મનની એ શાંતિની કિંમત કેટલી તે પરખાઈ જશે. બાહ્ય કર્મો ટાળવાથી કશો અર્થ સરતો નથી. બાહ્ય કર્મોમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે. ખાબોચિયાનું પાણી ઉપરથી નિર્મળ દેખાય છે. પણ અંદર પથરો નાખો. નાખતાંવેંત ગંદવાડ ઉપર તરી આવશે. આપણા મનનું પણ એવું છે. મનના અંતઃસરોવરમાં ઢગલેઢગલા ગંદવાડ સંઘરાયેલો પડેલો હોય છે. બહારની વસ્તુ સાથે સંબંદમાં આવતાંની સાથે એ ગંદવાડ ઉઘાડો દેખાઈ આવે છે. આપણે કહીએ છીએ કે ફલાણાને ગુસ્સો આવ્યો. એ ગુસ્સો શું બહારથી આવ્યો ? તે મૂળે અંદર જ હતો. મનમાં ન હોત તો બહાર દેખાત ક્યાંથી ? લોકો કહે છે કે, ‘ અમારે સફેદ ખાદી નથી જોઈતી. તે મેલી થાય છે. રંગીન ખાદી મેલી નથી થતી. ’ રંગીન પણ મેલી થાય છે પણ તેવી દેખાતી નથી. ધોળી ખાદી મેલી થયેલી વરતાઈ આવે છે. તે બોલે છે, ‘ હું મેલી થઈ છું. મને ધુઓ. ’ આવી આ બોલકી ખાદી માણસને ગમતી નથી. એવી જ રીતે આપણું કર્મ પણ બોલે છે. તમે મિજાજી હો કે સ્વાર્થી હો કે બીજું ગમે તે હો, તે બધુંયે તમારૂં કર્મ ખુલ્લું કરી દેખાડે છે. કર્મ આપણું અસલ સ્વરૂપ દેખાડનારી આરસી છે. એ સારૂ કર્મનો આભાર માનવો જોઈએ. આરસીમાં મોઢું મેલું દેખાય તેથી શું આપણે આરસી ફોડી નાખીશું ? ના. ઊલટું તે આરસીનો આભાર માનીશું. પછી મોઢું ચોખ્ખું કરી પાછું તેમાં જોઈશું. તે પ્રમાણે આપણા મનમાંનો મળ કર્મ વડે બહાર આવે છે તેથી શું તેને ટાળવાનું હોય ? એ કર્મ ટાળવાથી, તેનાથી અળગા રહેવાથી મન નિર્મળ થવાનું છે ? એથી કર્મ કરતાં રહેવું જોઈએ અને નિર્મળ થાય તે માટેની કોશિશમાં મંડ્યા રહેવું જોઈએ.

5. કોઈક માણસ ગુફામાં જઈને બેસે છે. ત્યાં તેને કોઈનાયે સંબંધમાં આવવું પડતું નથી. તેને થાય છે, ચાલો આપણે તદ્દન શાંતમતિ થયા. એને ગુફા છેડી કોઈક ઘેર ભિક્ષા માગવાને જવા દો પછી જુઓ શું થાય છે તે. ત્યાં એકાદ રમતિયાળ છોકરૂં બારણાની સાંકળ ખખડાવીને રમે છે. તે બાળબ્રહ્મ નાદબ્રહ્મમાં લીન છે. પણ એ નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા પેલા યોગીથી સહેવાતી નથી. તે કહે છે, ‘ આ છોકરો કેવી ગરબડ મચાવે છે ! ’ ગુફામાં રહીને તેણે પોતાનું મન એટલું બધું નબળું પાડી દીધું છે કે જરા સરખો ધક્કો તેનાથી સહેવાતો નથી. જરા સાંકળ ખખડી કે ખલાસ, તેની શાંતિની બેટક તૂટી જાય છે. આવી દૂબળી સ્થિતિ કંઈ સારી નથી.

6. ટૂંકમાં, આપણા મનનું સ્વરૂપ સમજાય તે સારૂ કર્મ ઘણું ઉપયોગી છે. દોષ દેખાય તો તેને કાઢવાનું બની શકે. દોષ માલૂમ ન પડે તો પ્રગતિ અટકી જાય, વિકાસ થંભી જાય. કર્મ કરતાં દોષ દેખાશે. તેમને કાઢવાને વિકર્મની યોજના કરવી. અંદર આવી વિકર્મની કોશિશ રાતદિવસ ચાલુ રહે પછી કાળાંતરે સ્વધર્મનું આચરણ કરતાં કરતાં અલિપ્ત કેમ રહેવું, કામક્રોધાતીત, લોભમોહાતીત કેમ થવું એ બધું સમજાશે ને આવડશે. કર્મ નિર્મળ કરવાના એકધારા પ્રયાસમાં મંડ્યા રહેવાથી પછી તમારે હાથે નિર્મળ કર્મ સહેજે થવા માંડશે. નિર્વિકાર કર્મ આપમેળે સહજપણે થવા માંડશે એટલે પછી કર્મ ક્યારે થયું તેનો ખ્યાલ સરખો નહીં રહે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ કર્મને જ અકર્મ કહે છે એ આપણે ચોથા અધ્યાયમાં જોયું. કર્મનું અકર્મ કેવી રીતે બને છે તે વાત સંતોના ચરણ સેવવાથી સમજાય છે, એમ પણ ભગવાને ચોથા અધ્યાયને છેડે કહ્યું. આ અકર્માવસ્થાનું વર્ણન કરવાને વાણી અધૂરી પડે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

વૃક્ષન સોં મત લેહ – સુરદાસ

વૃક્ષન સોં મત લેહ,
મન રે ! તૂ વૃક્ષન સોં મત લેહ;
કાટે તા પર ક્રોધ કરે નાહીં,
સીંચે તાહિ સ્નેહ. – ૧

જો કોઉ વા પર પથ્થર ચલાવે,
તાહિ કૌ ફલ દે;
આપ સિર પર ધૂપ સહત હૈ,
ઔરન કૌ છાયાસુખ દે. – ૨

ધનિ ધનિ જડ યે પરમ પદારથ,
વૃથા મનુષ્ય કી દેહ;
‘સૂરદાસ’ મન કર્મ બચન કરિ,
ભક્તન કૌ મત એહ. – ૩

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.