કુરુક્ષેત્ર પર ના લેખ
સુંદરતા,બુદ્ધિ અને બેવફાઈ???
પરનો મારો પ્રતિભાવ
શ્રી ભુપેન્દ્રસિંહજી,
અહીં ૩ બાબતોની એક બીજા સાથે સંગતતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૧. સુંદરતા
૨. બુદ્ધિ
૩. બેવફાઈ
આપના લેખ પ્રમાણે આપે માત્ર શારિરિક સુંદરતાની વાત કરી છે – પણ આ ઉપરાંત વ્યવહાર, વાતચીત, પહેરવેશ, સ્વચ્છતા, કલાત્મકતા વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની સુંદરતા અભીવ્યક્ત કરી શકે છે. જે વ્યક્તિ પોતાને યોગ્ય રીતે અભિવ્યક્ત નથી કરી શકતી તે સુંદર હોવા છતાં પણ લોકોમાં માનીતી નથી થઈ શકતી જ્યારે જે વ્યક્તિ ઓછી સુંદર હોય પણ તે લોકો સાથે પ્રેમ-પૂર્વક હળે-ભળે તો તે સુંદર વ્યક્તિ કરતાં વધારે પ્રગતી કરી શકે.
૨. બુદ્ધિ ના ભગવદ ગીતા પ્રમાણે ૩ ભેદ પાડવામાં આવ્યાં છે સાત્વિક, રાજસીક અને તામસીક બુદ્ધિ.
જે બુદ્ધી શું કરવું અને શું ન કરવું એને જાણે વળી બંધન શું અને મુક્તિ શું તેને જાણે છે તે બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહે છે.
શું કરવું , શું ન કરવું તથા ધર્મ અને અધર્મને જે બુદ્ધિ યથાર્થ રીતે જાણી નથી શકતી તેવી બુદ્ધિને રાજસીક બુદ્ધિ કહે છે.
જે બુદ્ધિ દરેક બાબતના ઉલટાં જ અર્થ કરે અને અધર્મને જ ધર્મ માની લે તેવી બુદ્ધિને તામસીક બુદ્ધિ કહે છે.
બેવફાઈ – દેશ, કાળ, સમાજવ્યવસ્થા વગેરે પર આધાર રાખે છે. આપે પ્રાણીઓનો ઘણો અભ્યાસ કર્યો છે અને મનુષ્યોનો મહદ સમાજ હજુ પણ પ્રાણીઓ જેવો જ છે જેમાં બેવફાઈને સુંદરતા કરતાં બુદ્ધિ સાથે અને આસપાસના વાતાવરણ તથા બાહ્ય પરિબળો સાથે સંબધ છે.
બુદ્ધિશાળી સંબધ બાંધતા પહેલા અનેક વખત વિચાર કરે છે. એક વખત સંબધ બાંધ્યા પછી તેને સમસ્ત જીવન પર્યંત જાળવવા પ્રયત્ન કરે છે – તેમ છતાં જો કોઈ રીતે અનુકુલન ન જ સાધી શકાય તો શાંતિથી સંબધ વિચ્છેદ કરે છે.
જે બુદ્ધિશાળી નથી તે જેની તેની સાથે સંબધ બાંધ્યા જ કરે છે, પછી એક પણ સંબધ ટકાવી ન શકીને અંતે પતન નોતરે છે. જો આવી વ્યક્તિને કોઈ બુદ્ધિશાળીનો સહારો મળી જાય અને તેના કહેવા પ્રમાણે તે પોતાની જાતમાં સુધારો કરે તો તેને માટે બચવાની કશીક પણ આશા રહે છે નહીં તો પછી તે સમાજમાં આબરુ, મર્યાદા, માન સઘળું ગુમાવીને ક્ષુદ્ર જંતુ સમાન બની જાય છે.
ટુંકમાં બુદ્ધિ અને બેવફાઈને સંબધ છે પણ સુંદરતાને બુદ્ધિ સાથે કે સુંદરતાને બેવફાઈ સાથે કોઈ સંબધ હોય તેમ મને લાગતું નથી.
તા.ક. આપના બ્લોગ પર મેં પ્રતિભાવ આપેલો પણ સ્પામમાં ચાલ્યો જતો હોવાથી ફરી અહીં મુકેલ છે.